નવી દિલ્હી, 06 ઓગસ્ટ 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય કટોકટી વચ્ચે, ત્યાં ફસાયેલા કુલ 4,052 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે બુધવારે આ માહિતી આપી હતી.
પશ્ચિમ એશિયા અને અન્ય વિસ્તારોમાં પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સલામતી અને સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે સોનોવાલે બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી.
4,052 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા
‘X’ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, આ સંકટ દરમિયાન ફસાયેલા 4,052 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) સ્વદેશ પરત ફરવામાં સહાય, તબીબી સહયોગ અને કાઉન્સેલિંગ પૂરું પાડી રહ્યું છે તેમજ અસરગ્રસ્ત પરિવારો સાથે સતત સંપર્ક જાળવી રહ્યું છે.
મૃતક નાવિકના પરિવાર માટે 10 લાખની સહાય
તેમણે જણાવ્યું હતું કે, SWFS સ્પેશિયલ હાઈ-રિસ્ક એરિયા સ્કીમ હેઠળ મૃતક નાવિકોના નજીકના સંબંધીઓને 10 લાખની તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
સોનોવાલે જણાવ્યું હતું કે ભારતીય નાવિકો મહત્વપૂર્ણ વૈશ્વિક કામદારો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર તેમની તથા તેમના પરિવારોની સાથે મક્કમતાથી ઊભી છે.
વધુ વાંચો: રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર વધુ એક મોટો હુમલો કર્યો, 17 નાગરિકોનાં મોત

