અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં લગભગ 64 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 44 ડેમ ઓવરફ્લો થયા છે. સતત વરસાદને પગલે સૌરાષ્ટ્રના 34 જેટલા જળાશયો છલકાયાં છે. સૌરાષ્ટ્રના ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ 19% થી વધીને 73% થયો છે. જળાશયોમાં 66000 MCFTથી વધુ પાણીનો સંગ્રહ છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 63.12 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 37.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.34 ટકા, કચ્છના 20 ડેમમાં 65.27 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 74.96 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 66.92 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતમાં જળાશયોમાં સતત નવા પાણીની આવક થવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યાથી લોકોને રાહત મળશે. એટલું જ નહીં જળાશયોમાં પાણીની આવક પગલે ખેડૂતોને આગામી દિવસોમાં સિંચાઈનું પાણી મળી રહેવાની આશા વ્યક્ત થઈ રહી છે.
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન શેત્રુંજી ડેમ છલકાયો છે, જેથી ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા લગભગ 20 જેટલા ડેમ એક ફુટ જેટલા ખોલીને નદીમાં પાણીને છોડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શેત્રુંજી ડેમના નીચાણવાળા વિસ્તાર પાલિતાણા અને તળાજા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત નદીની આસપાસ નહીં જવા માટે લોકોની સૂચના આપવામાં આવી છે.