Site icon Revoi.in

રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ડેમ છલકાયાં, 207 જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, દરમિયાન ઉપવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 74 ટકા જેળલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના 207 જળાશયોમાં 71 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેથી ઉનાળામાં ગરમીના આકરા દિવસોમાં પીવાના પાણીની સમસ્યા થવાની શકયતાઓ નહીંવત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 61 ડેમ છલકાયાં છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 78.91 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,45,515.18 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 73.49 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.72 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.73 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 61 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 28 જળાશયો મળી કુલ 89 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા ૨૧ જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.