Site icon Revoi.in

પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 ભારતીય માછીમારો બંધ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટની સાથે અપહરણ કરવામાં આવતું હોવાનું અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં 51 ભારતીય નાગરિક અને 654 માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે.

ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. 2008માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જોગવાઈઓ અનુસાર બંને દેશો દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન-પ્રદાન કરે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે પાકિસ્તાનને 339 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 95 પાકિસ્તાની માછીમારોની યાદી સોંપી છે. એ જ રીતે પાકિસ્તાને ભારતને 51 ભારતીય નાગરિક કેદીઓ અને 654 માછીમારોની યાદી આપી છે જે ભારતીય છે અથવા ભારતીય હોવાનું માનવામાં આવે છે. સરકારે નાગરિક કેદીઓ, ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓ અને  માછીમારો અને પાકિસ્તાનની કેદમાં તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવા જણાવ્યું છે.

મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનને 631 ભારતીય માછીમારો અને બે ભારતીય નાગરિક કેદીઓને વહેલી તકે મુક્ત કરવા કહેવામાં આવ્યું છે. તેમની સજા પૂરી થઈ ગઈ છે અને તેમની રાષ્ટ્રીયતા પણ સાબિત થઈ ગઈ છે. આ અંગે પાકિસ્તાનને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 30 માછીમારો અને 22 નાગરિકોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહેવામાં આવ્યું છે. તે તમામ ભારતીયો હોવાનું માનવામાં આવે છે. મંત્રાલયે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનને માછીમારો સહિત 71 પાકિસ્તાની કેદીઓની રાષ્ટ્રીયતા ચકાસવા માટે જરૂરી કાર્યવાહી ઝડપી કરવા વિનંતી કરી છે.