Site icon Revoi.in

અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવનો વિકાસ કરાશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો વિકાસ કરવામાં આવશે. આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે 81 તળાવોનો વિકાસ કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે. એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે

અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15માં નાણાં પંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે વધુ 81 તળાવો જે રાજ્ય સરકાર હસ્તકના છે અને AMC હદ વિસ્તારમાં આવેલા છે, તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગર પાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે. સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલિકાને 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. આના પરિણામે અમદાવાદ મહાનગરમાં પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે.