દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ ભારતે પડોશી ધર્મ અપનાવીને નેપાળ અને ભૂતાનને રસી મોકલી આપી છે. ભારતની રસી દુનિયાના અન્ય દેશોની રસી કરતા કિંમતમાં સસ્તી હોવાથી દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની રસી માટે ભારતનો સંપર્ક કરી રહ્યાં છે. 92 દેશોએ કોરોનાની રસી મેળવવા માટે અત્યાર સુધીમાં ભારતનો સંપર્ક કર્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ડોમિનિકન રિપબ્લિકના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના વેક્સિન મોકલવાની વિનંતી કરી છે. તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે હું વિનમ્રતાથી તમને રસી મોકલવા વિનંતી કરું છું, જેથી આપણે આપણા લોકોને આ મહામારીથી બચાવી શકીએ. આ ઉપરાંત બ્રાઝિને રસી લેવા માટે એક વિશેષ વિમાન ભારત મોકલ્યું છે. રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને વેક્સિન મોકલવાની વિનંતી કરી છે. ત્યારે બોલિવિયાની સરકારે 5 મિલિયન ડોઝ કોરોના રસી માટે સીરમ સંસ્થા સાથે પણ સંપર્ક કર્યો છે. આ ઉપરાંત દુનિયાના અન્ય દેશોએ પણ કોરોનાની રસી મેળવવા માટે ભારત સરકારને વિનંતી કરી છે.
ભારતના પડોશી દેશ નેપાળ, બાંગ્લાદેશ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોનાની રસી આપવા વિનંતી કરવામાં આવી હતી. ભારતે પડોશી પ્રથમ પોલીસી હેઠળ ભારત સરકાર દ્વારા નેપાળ અને ભૂતાનમાં વિના મૂલ્યે કોરોનાના લાખો ડોઝ મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય પડોશી દેશો પણ કોરોનાની રસી મોકલવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ભારતના કટ્ટર હરિફ મનાતા પાકિસ્તાન પણ ભારત પાસે કોરોનાની રસીને લઈને મદદની આશા રાખીને બેઠું છે.