Site icon Revoi.in

સુરતમાં 94 ધન્વંતરી આરોગ્ય રથ દોડતા કરાયાં, સર્વેની કામગીરી કરાઈ તેજ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ થયેલા આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ દોડાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારો અને સ્કૂલમાં સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મનપાની ટીમે 30,593 ઘરોમાં 1,26,285 વ્યક્તિઓના સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન 12,106 વ્યક્તિઓની OPD કરવામાં આવી છે. જેમાં 30 જેટલા તાવના કેસ અને અન્ય બીમારીઓના 11,277 કેસ મળતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

સુરતમાં કોરોનાના કેસ વધતા શહેરના પ્રવેશ દ્વાર ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર પણ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતના વિવિધ માર્કેટમાં પણ સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 80થી વધારે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.