નાગપુર, 20 જૂન 2026: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આયોજિત નીટ-યુજીની પુનઃપરીક્ષાના બરાબર એક દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાગપુરના એક વિદ્યાર્થી સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ ફરી એકવાર એજન્સીની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થીએ પરીક્ષા કેન્દ્ર માટે પોતાની પહેલી પસંદગી તરીકે નાગપુર શહેર પસંદ કર્યું હતું, પરંતુ પરીક્ષાના આગલા દિવસે જ્યારે તેણે નવું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું, ત્યારે તેનું પરીક્ષા કેન્દ્ર સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં દર્શાવવામાં આવ્યું હતું. આ પરીક્ષા 21 જૂને યોજાવાની છે અને આટલા ટૂંકા સમયમાં વિદેશ જઈને પરીક્ષા આપવી વિદ્યાર્થી અને તેના પરિવાર માટે અશક્ય બની ગઈ છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાથી લઈને શૈક્ષણિક જગતમાં મોટી ચર્ચા જગાવી છે.
વિદ્યાર્થીને મૂળ પરીક્ષા માટે નાગપુરની સરસ્વતી વિદ્યાલયમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પરંતુ પેપર લીક વિવાદ બાદ જ્યારે પુનઃપરીક્ષાની પ્રક્રિયા શરૂ થઈ અને નવું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું, ત્યારે પરીક્ષા કેન્દ્ર બદલીને સીધું ‘અબુ ધાબી ઇન્ડિયન સ્કૂલ’ કરી દેવાયું હતું. વિદ્યાર્થીના પરિવારના જણાવ્યા અનુસાર, એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ પહેલી પસંદગી નાગપુર, બીજી વર્ધા અને ત્રીજી ભંડારા રાખી હતી. આ તમામ સ્થાનિક શહેરો હોવા છતાં છેક વિદેશમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા પરિવાર સંપૂર્ણપણે હેરાન થઈ ગયો છે.
વિદ્યાર્થીના પિતા મોહમ્મદ તાલિબે મીડિયાને જણાવ્યું હતું કે, તેમનો પરિવાર આર્થિક કે વ્યવહારિક રીતે પુત્રને પરીક્ષા આપવા વિદેશ મોકલી શકે તેમ નથી. સૌથી મોટી વાત એ છે કે વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, જેથી આટલી ઝડપથી મુસાફરી કરવાનું શક્ય જ નથી. પરિવારે આ અંગે તાત્કાલિક એનટીએ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી છે. હેલ્પલાઇનના અધિકારીઓએ આ બાબતને વહીવટી ભૂલ ગણાવી છે અને તપાસ બાદ સુધારેલું એડમિટ કાર્ડ જાહેર કરવાની ખાતરી આપી છે. જોકે, પરીક્ષાના ગણતરીના કલાકો બાકી હોવાથી વિદ્યાર્થી ભારે માનસિક તણાવમાં છે.
-
પૂર્વ શિક્ષણ મંત્રીએ ગણાવી ગંભીર વહીવટી ખામી
મહારાષ્ટ્રના પૂર્વ શિક્ષણ મંત્રી ડો. અનીસ અહેમદે આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા તેને ગંભીર વહીવટી ક્ષતિ ગણાવી છે. તેમણે માંગ કરી છે કે પરીક્ષા એજન્સીએ તાત્કાલિક પગલાં લઈને વિદ્યાર્થીને નાગપુર અથવા તેની નજીકના શહેરમાં નવું કેન્દ્ર ફાળવવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, આ માત્ર એક વિદ્યાર્થીની પરેશાની નથી પરંતુ દેશની આટલી મોટી પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર મોટો દાગ છે.
બીજી તરફ, એનટીએનું કહેવું છે કે પુનઃપરીક્ષાને સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્નપત્રો અને પરીક્ષા સામગ્રીને જીપીએસ સજ્જ વાહનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી રહી છે. તમામ મુખ્ય કેન્દ્રો પર સીસીટીવી સર્વેલન્સ, આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન અને રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આટલી હાઈટેક સિસ્ટમ વચ્ચે વિદ્યાર્થીનું સેન્ટર બદલાઈ જવાની ઘટના ચર્ચાનો વિષય બની છે.
નીટ-યુજી 2026ની પુનઃપરીક્ષા 21 જૂનના રોજ બપોરે 2:00 વાગ્યાથી સાંજના 5:15 વાગ્યા સુધી પેન-એન્ડ-પેપર મોડમાં આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં યોજાવાની છે, જેમાં અંદાજે 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પરીક્ષાના સફળ સંચાલન માટે બે લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એજન્સીએ ઉમેદવારોને સવારે 11:00 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યાની વચ્ચે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા કડક સૂચના આપી છે. બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.

