Site icon Revoi.in

ભાવનગર જિલ્લાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Social Share

ભાવનગરઃ  જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.જેમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો,

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. કલેક્ટરએ પડતર લોકઉપયોગી પ્રશ્નો, ઈ-સરકાર, સી.એમ. ડેશબોર્ડ વગેરે મુદ્દાઓ અંગે ચર્ચાઓ બેઠકમાં કરી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કર્યો હતો, આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત બેઠકમાં એપ્રિલ માસમાં યોજાનારા “સ્વાગત સપ્તાહ કાર્યક્રમ” અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, સુધીર વાઘાણી, સેજલબેન પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, ડી.વાય.એસ.પી. આર.વી.ડામોર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.