Site icon Revoi.in

ગુજરાતની જનતાનો અભિપ્રાય જાણ્યા બાદ આમ આદમી પાર્ટી સીએમનો ચહેરો જાહેર કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા અત્યારસુધીમાં 86 ઉમેદવારોના નામ  જાહેર કરી દીધા છે.  હવે AAP ગુજરાતના મુખ્યમંત્રીપદનો ચહેરો પણ 4 નવેમ્બરના રોજ જાહેર કરશે.  દિલ્હીના CM અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની પસંદગી માટે એક ફોનનંબર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના લોકો દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે.

AAP દ્વારા જાહેર કરવામાં આવેલા ફોનનંબર 6357000360 પર એસએમએસ, વ્હોટ્સએપ મેસેજ, વોઇસ મેસેજ અને ઇમેલ પર પણ મેલ કરવા કેજરીવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે. 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ ફોનનંબર પર સીએમ અંગેની પસંદગી કરી શકાશે અને 4 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માટે લોકોનાં સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ AAP મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી તેમનો પ્રચાર પણ બમણા જોરથી કરાશે. સુરત ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ  મુખ્યમંત્રી કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માગે છે.

કેજરિવાલે ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એ માત્ર ને માત્ર ભાજપનો ડર બતાવે છે. તાજેતરમાં મનીષ સિસોદિયા પર દારૂ પોલિસીને લઈને મોટો ઘટાડો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમે તો પોતે કહીએ છીએ કે જો તેમણે કોઈ મોટું કૌભાંડ કર્યું હોય તો તેમને જેલમાં પૂરી દો. તમે કેમ તેમને જેલમાં પૂરતા નથી. હજી આગામી દિવસોમાં ઘણા આક્ષેપો કરવામાં આવશે અને ડરાવવામાં આવશે, પરંતુ અમે ગુજરાતની જનતાની વચ્ચે જઈએ છે. પ્રજાને અમારામાં વિશ્વાસ છે. દિલ્હીમાં જે પ્રકારે પ્રદૂષણે માઝા મૂકી છે એને કારણે સમગ્ર દેશભરમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. અરવિંદ કેજરીવાલે યમુના સફાઈની વાત કરી હતી ત્યારે તેમણે સ્વીકાર્યું છે કે 2025 સુધીમાં યમુના સફાઈ કરવાની વાત મેં કરી હતી. દિલ્હીમાં જે રીતે દર વર્ષે છટપૂજા થાય છે એ જ રીતે આ વર્ષે પણ છઠપૂજા થશે. આ દિલ્હીની નગરપાલિકાની ચૂંટણીનો મુદ્દો છે.