Site icon Revoi.in

લ્યો કરો વાત, સાતમા પગાર પંચ લાગુ કરાયા બાદ 70 પ્રોફેસરોનો પગાર 30 હજાર ઘટી ગયો

Social Share

અમદાવાદઃ રાજય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ અપાયા બાદ કર્મચારીઓના પગારમાં ખાસ્સો વધારો થયો છે. પરંતુ  સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 અધ્યાપકો એવા છે જેઓ સાતમાં પગારપંચનો અમલ થયાનાં દોઢ – બે વર્ષ પછી પણ ખુશ નથી. જેનુ મૂળ કારણ એ છે કે,પગારમાં વધારોને બદલે ઘટાડો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 જેટલા પ્રોફેસરોના પગારમાં સાતમા પગાર પંચના અમલ બાદ ઘટાડો થતાં આ મુદ્દે છેલ્લા એક વર્ષથી અધ્યાપકો સરકારેને રજુઆત કરી રહ્યા છે પણ સરકારમાંથી કોઈ જવાબ નહિ આવતા અધ્યાપકોમાં નારાજગી જોવા મળી છે. રાજ્યના શિક્ષણ વિભાગની સાતમા પગાર પંચની અમલવારીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બેદરકારીને કારણે કેટલાક પ્રોફેસરોનો પગાર વધવાને બદલે 25થી 30 હજાર ઘટી ગયો છે જે આશ્ચર્ય પમાડે તેવી વાત છે.સામાન્ય રીતે પગારપંચનો અમલ થાય એટલે પગાર વધી જતો હોય પણ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 70 અધ્યાપકોનો પગાર વધવાની જગ્યાએ ઘટ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 7માં પગારપંચનો લાભ આપ્યા બાદ પ્રોફેસરોનો પગાર છઠ્ઠા પગારપંચ કરતા પણ ઘટી જતા ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો હોય તેવું પહેલી વખત બન્યું છે.  ઉચ્ચતર પગાર ધોરણ આપતા પગાર વધવાને બદલે ઘટી ગયો છે. આ મામલે ગ્રાન્ટેડ કોલેજમાં ફરજ બજાવતા અને પીએચડી કરાવતા પ્રોફેસરનું કહેવું છે કે હું 27 વર્ષથી એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. પગારપંચની ગણતરીમાં ભૂલને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક વર્ષથી પ્રોફેસરો આ બાબતે અનેક વખત રજુઆત કરી પણ કોઈ ઉકેલ નથી આવતો. છઠ્ઠા પગારપંચના અમલમાં  છેલ્લો ગ્રેડ પે 9 હજાર મળતો હતો. 7માં પગાર પંચના અમલ વખતે સરકારે એવું ઠરાવ્યું કે 1-12016ની સ્થતિએ અમલવારી કરવી. એ સ્થિતિ પ્રમાણે  9 હજારની જગ્યાએ 8 હજાર સ્કેલની સ્થતિએ મુકતા પગાર દર મહિને 25થી 30 હજાર ઘટી ગયો છે. આવા 70 અધ્યાપકો છે જેમને પગાર વધવાની જગ્યાએ ઘટી ગયો છે. (file photo)