Site icon Revoi.in

અમદાવાદઃ અટલબ્રિજની 3 દિવસમાં 52 હજારથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પર્વ અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. તેમજ હાલ લોકો દિવાળીની રજાઓનો આનંદ માણી રહ્યાં છે. લાભપાંચમ બાદ મોટાબાગના ધંધા-રોજગાર ધમધમતા થશે. દરમિયાન અમદાવાદ શહેરમાં હરવા-ફરવાના શોખીન શહેરીજનોએ કાંકરિયા અને રિવરફ્રન્ડ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. દરમિયાન સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલો અટલબ્રિજ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળીના તહેવારોના 3 દિવસમાં 52 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જેના પરિણામે મનપાને લગભગ 20 લાખ જેટલી આવક થઈ  હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી નદીના પશ્મ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો અટલબ્રિજ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બ્રિજને જોવા માટે અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવે છે. દરમિયાન દિવાળીના દિવસે 27000થી વધારે લોકોએ બ્રિજની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસમાં 52 હજાર કરતાં વધુ લોકોએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી. દિવાળીના દિવસે 27,000 લોકોએ અટલબ્રિજની મજા માણી હતી. ત્રણ જ દિવસમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનને 20 લાખ જેટલી આવક થઈ છે. સોમવારથી નોકરી ધંધા-રોજગાર ફરીથી રાબેતા મુજબ થવાની આશા છે. જેથી હજુ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની છે. અટબ્રિજની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી મનપાની તિજોરી છલકાવાની શકયતા છે. સાબરમતી નદી ઉપર મનપા દ્વારા અટલબ્રિજ બનાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો.