Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલી યોજી આવેદનપત્ર આપ્યું

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ રજુઆતો કરવા છતાં ઉકેલ ન આવતા  મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા સારંગપુર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી આસ્ટોડિયા થઈ અને મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ સુધી રેલી કાઢવામાં આવી હતી.  મ્યુનિ, કર્માચારીઓએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને સૂત્રોચાર કરી રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં એએમસીના  કર્મચારીઓ જોડાયા હતા. ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને આવેદનપત્ર આપી અને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા પગારના ધોરણોમાં વિસંગતતા, ફાયરબ્રીગેડના જવાનો પાસે લેવામાં આવતી 24 કલાકના સ્ટેન્ડ ટુની કામગીરી, માથે મેલું ઉપાડવાની પ્રથા બંધ કરવા સહિત 29 જેટલા મુદ્દાઓને લઇને  મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. જો આગામી દિવસોમાં  પ્રશ્નોનો ઉકેલ નહી આવે  તો આગામી જી 20 દરમિયાન  આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

મ્યુનિસિપલ નોકર મંડળના પ્રમુખ કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પગારધોરણ બાબતે ભારે વિસંગતતા છે, ક્યાંક કેન્દ્રના ધોરણે, ક્યાંક રાજ્યના ધોરણે તો ક્યાંક આ તમામ ધોરણ કરતાં પણ વધારે પગાર ચુકવવામાં આવે છે. સેવા નિવૃત્ત થતાં કર્મચારીઓને બીજા દિવસે તેમના લાભો ચુકવવામાં આવવા જોઇએ તેને બદલે તંત્ર ખોટી રીતે રીકવરી કાઢીને કર્મચારીઓને પેન્શનના લાભથી વંચિત રાખે છે ક્યારેક હેરાન પરેશાન કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ક્વાર્ટર્સ ફાળવવામાં આવેલા છે તે ખૂબ જ જર્જરીત હાલતમાં થઈ ગયા છે જેથી હવે આ ક્વાર્ટસને રી ડેવલોપમેન્ટ અથવા જ્યાં ક્વાર્ટસ ત્યાં જ ફરી નવા ક્વાર્ટસ બનાવી આપવાની પણ નોકર મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. માથે મેલુ ઉપાડવાની કામગીરી હજુ પણ ચાલુ જ છે જે ગેરકાયદેસર છે. તેથી આવા કામગીરી કરાવનારા સુપરવાઇઝરો સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરાઈ છે. સુરતના સફાઇ કામદારોને  1650નો ગ્રેડનું પગારધોરણ છે ત્યારે અમદાવાદમાં 24 વર્ષ નોકરી કર્યા બાદ સફાઇ કામદારનો પગારગ્રેડ 1650 પર પહોંચે છે. જૂની પેન્શન યોજનાને પણ ફરીથી લાગુ કરવાની માંગણી કરી છે. આ તમામ પ્રશ્નોને લઇને આજે મોટી સંખ્યામાં કર્મચારી મંડળ દ્વારા મ્યુનિ. કચેરી ખાતે ચક્કાજામ કરી દીધું હતું. એટલું જ નહી પણ ડડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઇ.કે. પટેલ, સી.આર. ખરસાણ અને આર્જવ શાહ દ્વારા તેમને સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલા લેવાની હૈયાધારણા આપી હતી.