Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી મેળાને મંજુરી હજુ નથી આપી છતાં મેળા જેટલી જ ભાવિકોની મેદની

Social Share

અંબાજી:  ભાદરવા મહિનામાં જ રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે. હવે ભાદરવા પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અંબાજીમાં  ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો  મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને  લઈ અંબાજીના મેળાને લઈ ભારે અસમંજસતા જોવા મળી રહી છે. જો કે મેળો અને મંદિર બંધ થઈ શકે છે તેવી દુવિધાને લઈ લાખો પદયાત્રીઓએ વહેલા પદયાત્રા પૂર્ણ કરી છે અને હજી પણ પદયાત્રીઓનો ધસારો અવિરત પણે ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજીમાં હાલ અનેક પદયાત્રીઓ આવી રહ્યા છે. બીજાબાજુ ભાદરવીના મેળામાં વર્ષભરનું કમાઈ લેતા વેપારીઓ અને હોટલધારકો પણ અસંમજસમાં છે. મેળાને મંજુરી અપાશે કે નહી તેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે અંબાજી મેળો અને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આજથી અંબાજીમાં અસંખ્ય યાત્રિકો ઉમટી પડતા મેલા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.  વહીવટી તંત્રએ પણ તૈયારીઓ કરી દીધી છે. પોલીસના કંટ્રોલ રૂમ, પોલીસ વ્યવસ્થાના માચડા, ટ્રાફિક નિયંત્રણના બેરીકેટ, સહિત મોટો પોલીસ કાફલો પણ અંબાજીમાં તૈનાત કરી દેવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે. જ્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જોકે દર વર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યાએ ચાલુ વર્ષે મેળાની અસમંજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારાની 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.