Site icon Revoi.in

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ,જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો

Social Share

મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11મી ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેટલાક બિગ બીને સદીના મેગાસ્ટાર કહે છે જ્યારે કેટલાક તેમને શહેનશાહ કહે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતાં રહે છે. બિગ બી આજે તેમનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન લગભગ પાંચ દાયકાથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. આજે આપણે તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર, 1942ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હરિવંશ રાય બચ્ચન હતું, જેઓ હિન્દી જગતના પ્રખ્યાત કવિ હતા. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી હતી અને ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.અભિનેતા માટે અહીં પહોંચવું બિલકુલ સરળ ન હતું. પોતાની કારકિર્દીની શરૂઆતમાં બિગ બીને તેમની ઊંચાઈથી લઈને અવાજ સુધી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેણે હાર માની નહીં અને આજે તેના ચાહકોની કોઈ કમી નથી.

અમિતાભ બચ્ચન તેમનો જન્મદિવસ વર્ષમાં એક વખત નહીં પરંતુ બે વાર ઉજવે છે, જેનું એક ખાસ કારણ છે. 11 ઓક્ટોબરે પ્રથમ જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો અને 2 ઓગસ્ટના રોજ તેમનો બીજો જન્મદિવસ ઉજવે છે. વર્ષ 1982માં આ દિવસે તેમનો બીજી વખત જન્મ થયો હતો. આ દિવસે તેઑ મોતના મુખમાંથી પાછા આવ્યા હતા. વાસ્તવમાં, ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન બિગ બીનો બેંગલુરુમાં અકસ્માત થયો હતો, જે દરમિયાન તેમનું મૃત્યુ થતાં થતાં રહી ગયું હતું. 24 જુલાઈ, 1982ના રોજ બેંગલુરુમાં ફિલ્મ ‘કુલી’ના એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચનને આકસ્મિક રીતે પુનીત ઈસારે દ્વારા પેટમાં મુક્કો લાગી ગયો હતો.

આ દરમિયાન બિગ બીની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના પર અનેક સર્જરી કરી. આ સર્જરી બાદ તેને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી પણ અમિતાભની તબિયતમાં કોઈ સુધારો ન થયો, જેના કારણે ડોક્ટરોએ તેમનું બીજું ઓપરેશન કરવું પડ્યું.ડોક્ટરોએ જણાવ્યું હતું કે બિગ બીની હાલત ખૂબ જ નાજુક છે. એટલું જ નહીં, ડોક્ટરોએ અમિતાભ બચ્ચનને મૃત જાહેર પણ કરી દીધા હતા. 2 ઓગસ્ટના રોજ તેણે અચાનક અંગૂઠો હલાવ્યો હતો. આ પછી ધીમે ધીમે તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો.

આ સમય દરમિયાન માત્ર અમિતાભ બચ્ચનનો પરિવાર જ નહીં પરંતુ તેમના લાખો ચાહકો પણ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અમિતાભ બચ્ચનને 24 સપ્ટેમ્બરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો તેમને મળવા પહોંચ્યા હતા. બિગ બીએ હૉસ્પિટલની બહાર પ્રશંસકોને કહ્યું હતું કે, ‘તે જીવન અને મૃત્યુ વચ્ચેની ભયાનક અગ્નિપરીક્ષા હતી. બે મહિનાની હોસ્પિટલમાં રહેવાની અને મૃત્યુ સાથેની લડાઈ પૂરી થઈ. હવે હું મૃત્યુને જીતીને મારા ઘરે પાછો ફરી રહ્યો છું.