Site icon Revoi.in

પુલવામા એટેક: 44 જવાનોની શહીદીના 100 કલાકમાં કાશ્મીર ખાતેની જૈશ – એ – મોહમ્મદની લીડરશીપનો કરાયો સફાયો

Social Share

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ માત્ર 100 કલાકની અંદર જૈશ-એ-મોહમ્મદે કાશ્મીરમાં વસવાટ કરનારા તમામ ટોચના આતંકીઓનો સફાયો કર્યો છે. આ વાત પુલવામા હુમલા મામલે સેના, પોલીસ અને સીઆરપીએફની એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવી છે.

લેફ્ટિનેન્ટ જનરલ કંવલજીતસિંહ ઢિલ્લને કહ્યુ છે કે ઘાયલોની પરિસ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે હુમલાના 100 કલાકો બાદ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જૈશ-એ-મોહમ્મદે આઈએસઆઈની મદદથી પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો.

લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને કહ્યુ છે કે જેમણે પણ હથિયાર ઉઠાવ્યા છે, તે તમામને ઠાર મારવામાં આવશે. સેનાએ આતંકવાદીઓના માતાપિતાને અપીલ કરી છે કે તેઓ પોતાના સંતાનોને સરન્ડર કરવા માટે જણાવે.

તેમણે કહ્યુ છે કે 15મી ફેબ્રુઆરીએ જેવા પ્રકારનો હુમલો થયો, તેવો હુમલો કાશ્મીરમાં ઘણાં લાંબા અરસા બાદ થયો છે. આવા પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.

સીઆરપીએફના આઈજી ઝુલ્ફિકાર હસને કહ્યુ છે કે તેમનો હેલ્પલાઈન નંબર 14411 દેશભરમાં કાશ્મીરીઓની મદદ કરી રહ્યો છે. દેશભરમાં જેટલા પણ કાશ્મીરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તે તમામની મદદ અને સુરક્ષા કરવામાં આવશે.

લેફ્ટિનેન્ટ જનરલ કંવલજીતસિંહ ઢિલ્લને ક્હ્યુ છે કે જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આર્મીનું જ ફરજંદ છે. આ મામલામાં પાકિસ્તાની સેનાની 100 ટકા સંડોવણી છે. આમા કોઈ શંકાને સ્થાન નથી. તેમણે કહ્યુ છે કે તેઓ તમામને આશ્વસ્ત કરી રહ્યા છે કે તમામ પ્રકારની ઈન્ટેલિજન્સ પર તેઓ કામ કરી રહ્યા છે.

કાશ્મીરના આઈજી એસ. પી. વાણિએ કહ્યુ છે કે કાશ્મીરમાં યુવકોની આતંકી સંગઠનોમાં ભરતી છેલ્લા કેટલાક મહીનાઓમાં ઓછી થઈ છે. કાશ્મીર ખીણમાં જે પણ ઘૂસણખોરી કરશે, તે જીવતા બચવાના નથી.

સીઆરપીએફનું કહેવું છે કે પુલવામા હુમલા બાદ તેમણે કાફલાની મૂવમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે. લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને કહ્યુ છેકે પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાનને આઈએસઆઈ પાસેથી નિર્દેશ મળતા હતા.

લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને જમ્મુ-કાશ્મીરના પથ્થરબાજોને અપીલ કરતા કહ્યુ છે કે કોઈપણ નાગરિક અથડામણના સ્થાન પર જાય નહીં. તેમણે ચેતવણી આપી છે કે જો આમ થાય છે, તો તેમણે એક્શન લેવા પડશે.