અયોધ્યા, 13 માર્ચ, 2026 – Asaram Bapu આસારામ બાપુએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. વિવિધ મીડિયા અહેવાલ અનુસાર આસારામ બાપુ ગત 10 માર્ચને મંગળવારે અયોધ્યા પહોંચ્યા હતા અને રામલલાના દર્શન કરવા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
અહેવાલ અનુસાર, અયોધ્યા પહોંચેલા આસારામ બાપુએ કહ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક શક્તિ જ સૌથી મોટી તાકાત છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં એવા સાત મોક્ષદાયી તીર્થસ્થળ છે જેનું મહત્ત્વ સમગ્ર વિશ્વમાં અસાધારણ છે. તેમણે જણાવ્યું હતું કે, આવી પવિત્ર ધરતી ઉપર કોઈના પ્રાણ જાય તો એ વ્યક્તિ માટે તે મંગળકારી ગણાય.
પોતાના સંબોધનમાં તેમણે ભારતીય પરંપરા અને આયુર્વેદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે માનવ શરીરમાં વાત, કફ અને પિત્ત એમ ત્રણ દોષ માનવામાં આવે છે, અને અયોધ્યા જેવા પવિત્ર તીર્થમાં આવવાથી મન અને શરીર બંનેને વિશેષ શાંતિ મળે છે. આસારામ બાપુએ એ પણ જણાવ્યું કે રામ મંદિર નિર્માણ પછી આ તેમની પ્રથમ અયોધ્યા મુલાકાત છે.
તેમણે કહ્યું કે તેઓ રામ લલ્લા મંદિરના દર્શન અને હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના માટે અયોધ્યા આવ્યા છે. આ દરમિયાન તેમણે સરયુ નદીના તટ પર આયોજિત સરયુ આરતીમાં ભાગ લઈને દેશની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી. હાલમાં તેમનો અયોધ્યા પ્રવાસ ચાલુ છે.
આસારામ બાપુએ 7 જગ્યાઓનો ઉલ્લેખ કર્યો
આસારામ બાપુએ કહ્યું કે આપણા ભારતનું સૌભાગ્ય છે. આ સ્થળની એવી શક્તિ છે કે ગમે તેવો માણસ પ્રાણ છોડે અથવા જાય તો બધું મંગળ જ થાય છે. એવી 7 જગ્યાઓ છે – અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારકા – આ બધી જ મોક્ષની ધામ છે.
તેમણે જણાવ્યું કે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ એમ ત્રણ દોષ હોય છે. આ તીર્થોમાં આવવાથી એક દોષ ઓછો થઈ જાય છે. આમાં અયોધ્યા નંબર 1 પર છે. ત્યારબાદ મથુરા છે. એવા પણ પ્રમાણ મળ્યા છે કે મથુરામાં જે સાધુના વેશમાં રહ્યા, તેઓ મૃત્યુ પછી નરકમાં ગયા નથી.
અન્ય એક મીડિયા અહેવાલ અનુસાર, અયોધ્યા પહોંચેલા આસારામ બાપુનું રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તથા હનુમાન ગઢીના મહંત રાજુ દાસ સહિત સંતો-મહંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

