Site icon Revoi.in

બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઈટના એન્જિનમાં આગની આશંકાના પગલે ઈમરજન્સી લેન્ડિંગ

Social Share

નવી દિલ્હી, 22 મે 2026: Suspected fire in flight engine બેંગલુરુથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં લેન્ડિંગ દરમિયાન એન્જિનમાં આગ લાગવાની આશંકાને પગલે દિલ્હી એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ. એરપોર્ટ પર તાત્કાલિક ‘ફુલ ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી, જોકે પાયલટની સતર્કતાના કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું.

એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “ફ્લાઇટ AI2802 જ્યારે દિલ્હી એરપોર્ટ પર ફાઇનલ એપ્રોચ (લેન્ડિંગની તૈયારી) પર હતી, ત્યારે કોકપિટ ક્રૂને એક એન્જિનમાં આગ લાગી હોવાનો સંકેત મળ્યો હતો. તપાસ કરતા આ એલાર્મ સાચું હોવાનું માલૂમ પડ્યું હતું.” એરલાઇન્સના જણાવ્યા અનુસાર, આવી ગંભીર સ્થિતિમાં પણ ક્રૂ મેમ્બર્સે તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સનું ચુસ્ત પાલન કર્યું હતું અને વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને સામાન્ય રીતે પ્લેનમાંથી બહાર ઉતારવામાં આવ્યા હતા. એર ઇન્ડિયા આ મામલે સંબંધિત સત્તાવાળાઓ સાથે મળીને વધુ વિગતો એકત્ર કરી રહી છે.

એક જ દિવસમાં બીજી ઘટના: બેંગલુરુમાં ફ્લાઇટનું ‘ટેલ-સ્ટ્રાઇક’

આશ્ચર્યજનક વાત એ છે કે, આ જ દિવસે એર ઇન્ડિયાની અન્ય એક ફ્લાઇટ પણ દુર્ઘટનાનો શિકાર બનતા અટકી હતી. દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2651 જ્યારે બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી, ત્યારે તેનું પાછળનું વ્હીલ કે પૂંછડીનો ભાગ રનવે સાથે અથડાયો હતો, જેને એવિએશનની ભાષામાં ‘ટેલ-સ્ટ્રાઇક’ (Tail-strike) કહેવામાં આવે છે.

179 મુસાફરોનો આબાદ બચાવ: આ વિમાનમાં 179 પ્રવાસીઓ સવાર હતા. જોકે, આ ઘટનામાં પણ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. વિમાન ગ્રાઉન્ડેડ, રિટર્ન ફ્લાઇટ કેન્સલ: ટેલ-સ્ટ્રાઇકની ઘટના બાદ વિમાનને ઝીણવટભરી તપાસ માટે એરપોર્ટ પર જ ગ્રાઉન્ડેડ (સેવા બહાર) કરી દેવામાં આવ્યું છે. આ કારણે બેંગલુરુથી દિલ્હી પરત આવતી ફ્લાઇટ AI2652 કેન્સલ કરવી પડી હતી.

એર ઇન્ડિયાનું નિવેદન: “નિયમો અનુસાર આ બંને ઘટનાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. જે મુસાફરોની રિટર્ન ફ્લાઇટ કેન્સલ થઈ છે, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”

એક જ દિવસમાં એર ઇન્ડિયાની બે અલગ-અલગ ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામી અને ઇમરજન્સીની ઘટનાઓ સામે આવતા મુસાફરોની સુરક્ષાને લઈને એવિએશન સેક્ટર ચિંતિત છે.

Exit mobile version