Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું

Social Share

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ રથયાત્રા યોજાઈ રહી છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આધુનિટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનના રથમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડની મારફતે સમગ્ર રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના માર્ગોનું નિરીક્ષણ કર્યાં બાદ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદબોસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. લગભગ 26 હજાર જેટલા પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહ્યાં હતા. આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. અમદાવાદ મ્યુનિકોર્પોરેશનની કચેરી ખાતે મેયર સહિતના આગેવાનોએ ભગવાનના રથયાત્રાનું સ્વાગત કરીને પૂજા અર્ચના કરી હતી.