Site icon Revoi.in

બિહારઃ હોળી સ્પેશિયલ ટ્રેનના એસી કોચમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

Social Share

પટણાઃ બિહારના ભોજપુરમાં હોળી સ્પેશિયલ ટ્રેન (01410)ના એસી કોચ (M-9)માં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, રેલવેનો દાવો છે કે, જે એસી કોચમાં આગ લાગી તેમાં કોઈ મુસાફરો નહોતા. દાનાપુરથી લોકમાન્ય તિલક (મુંબઈ) જતી હોળી સ્પેશિયલ ટ્રેન ખુલ અરરાહ થઈને મધરાતે દાનાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે સેક્શનના કરિસાઠ સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે અચાનક ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. જોરદાર જ્વાળાઓ જોઈ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ગ્રામ્ય અને રેલવે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. જો કે હોળીના પગલે ટ્રેનમાં ઓછી ભીડને કારણે કોઈ જાનહાની થઈ નથી. મુસાફરોનું કહેવું છે કે એસી કોચમાંથી સૌપ્રથમ હળવો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અમે કંઈ સમજી શકીએ ત્યાં સુધીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ એસી બોગીમાં સવાર તમામ મુસાફરો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા.

આ ઘટના બાદ રેલવેએ એક ડઝન ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કર્યા છે. જોકે, બોગીને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી છે અને હોળી સ્પેશિયલ ટ્રેનને રવાના કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે માહિતી મળી હતી કે ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી. જે બાદ ટ્રેનને કરિસાથ પાસે રોકી દેવામાં આવી હતી. તે પછી તરત જ, બોગીને દૂર કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જે બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. તેણે જણાવ્યું કે જે બોગીમાં આગ લાગી તેમાં કોઈ રિઝર્વેશન નહોતું. આ બોગીમાં એક પણ મુસાફર નહોતો. હવે રેલવેની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ ઘટના બાદ લગભગ 5 કલાક સુધી રેલ્વે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.