Site icon Revoi.in

બિહારઃ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સુરક્ષા જવાનોની બસને નડ્યો અકસ્માત, 3 વ્યક્તિના મોત

Social Share

પટણાઃ બિહારમાં સિધવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનએચ-27 ઉપર બરહિમા વળાંક પાસે સુરક્ષા દળોની બસને અકસ્માત નડ્યો હતો. સુરક્ષા દળના જવાનો 3 બસમાં ગોપાલગંજથી સુપૌલ જઈ રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં બસનો ચાલક અને બે કોન્સ્ટેબલના મોત થયાં હતા. જ્યારે 12થી વધારે જવાનો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા દળોના આ જવાનો લોકસભાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ લાઇનથી ત્રણ બસોમાં 242 પુરુષ અને મહિલા જિલ્લા દળના જવાનો ચૂંટણી ફરજ માટે સુપૌલ જઇ રહ્યા હતા. જ્યારે આ અકસ્માત થયો ત્યારે સિધવાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બર્હિમા પહોંચ્યા હતા. રસ્તામાં બર્હિમા ટર્ન પાસે બસ રોકીને બધા નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે પાછળથી એક કન્ટેઈનરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અશોક ઉરાં, દિગ્વિજય કુમાર અને પવન મહતોના મોત થયા હતા. 12 ડઝનથી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ છે.

અકસ્માત એટલો દર્દનાક હતો કે એક જવાન બે બસ વચ્ચે ફસાઈ ગયો અને તેને બચાવવાના પ્રયાસો કલાકો સુધી ચાલુ રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

સમગ્ર ઘટના અંગે ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાત અને ડીએમ મોહમ્મદ મકસૂદ આલમે માહિતી ણેળવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ આરોગ્ય વિભાગે પાંચ એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. અકસ્માત બાદ સદર હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહી હતી.