Site icon Revoi.in

ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને જમીન ફાળવવાની યોજના અભેરાઈએ ચડાવી દીધીઃ મોઢવાડિયા

Social Share

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની અવગણના કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની ભાજપ સરકારના નિષ્કિય બની જાય છે. ભાજપ સરકાર માજી સૈનિકોના પડતર 14 જેટલા પ્રશ્નો બાબતે ઘણા વર્ષોથી કોણીએ ગોળ ચોપડી ગોળ ગોળ જવાબો આપી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  માજી સૈનિકોએ પોતાના જીવનના અમુલ્ય વર્ષો તાપ, ટાઢ, વરસાદ બેઠીને દુર્ગંમ વિસ્તારોમાં ભારત માતાની રક્ષા કાજે વિતાવ્યુ છે. દેશના પ્રત્યેક નાગરિકોના મનમાં આ સૈનિકો પ્રત્યે માન અને લાગણી છે. પરંતુ ભાજપ સરકાર સૈનિકોનો માત્ર રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રાષ્ટ્રવાદનો જુઠો દંભ મારે છે. પરંતુ નિવૃત્ત થયેલા જવાનોની થોડીક માંગણીઓ પરત્વે પણ રાજ રમત રમી તેમનું અપમાન કરી રહી છે.

તેમણે ઉમેર્યુ હતું કે, દેશની સેવામાં પોતાની જવાનીના સુવર્ણ વર્ષો વિતાવનાર સૈનિકો નિવૃત્તિ બાદ સમ્માનભેર પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરી શકે તે માટે પહેલાની કોંગ્રેસ સરકારે તેમને જમીન ફાળવણીની યોજના અમલમાં મુકી હતી. પરંતુ ભાજપ સરકારે આ યોજનાને અભેરાઈએ ચડાવી દઈને નિવૃત્તિ બાદ સૈનિકોના જીવન નિર્વાહનો આશરો છીનવી લીધો છે. એટલુ જ નહીં કોગ્રેસ સરકાર માજી સૈનિકો માટે સરકારી નોકરીઓમાં અનામત ક્વોટા ફાળવતી હતી. પરંતુ વર્તમાન ભાજપ સરકાર માજી સૈનિકોનો સરકારી નોકરીઓમાં અનામત ક્વોટા આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. એટલુ જ નહીં રાજ્યની ભાજપ સરકાર હક માંગી રહેલા માજી સૈનિકોને એક ઓફિસથી બીજી ઓફિસના ધક્કા ખવડાવી તેમનું અપમાન કરી રહી છે.