Site icon Revoi.in

હેલ્મેટ અને સીટબેલ્ટ સામેની પોલીસ ડ્રાઈવનો વિરોધ, ભાજપના ધારાસભ્ય કાનાણીએ સરકારને લખ્યો પત્ર

Social Share

સુરતઃ કોરોનાના કપરા કાળમાંથી લોકો હજુ બહાર આવ્યા છે, ત્યાં જ હેલ્મેટ અને સીટબેલ્ટનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીનો લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે.

સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યગૃહ મંત્રીને પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માગ કરી છે. પોલીસ બેફામ ઉધરાણી કરે છે અને લોકોની હેરાનગતિ વધી હોવાનું પણ પત્રમાં લખ્યું છે. આ સાથે ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્ય લેટર લખતાં રાજકારણ ગરમાયું છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં રોડ સેફ્ટીને લાગતી કામગીરીની સમીક્ષા બેઠકમાં એવી ચર્ચા થઈ હતી કે, ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહી પહેરવા તથા સીટ બેલ્ટ નહી બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઇજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવા સુચના આપવામાં આવી છે. આગામી તા 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રાખવા તથા આ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો આદેશ અપાયો હતો..

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવ્યું કે 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેને ધ્યાને લેતા હાલ કોવિડ-19ની પરિસ્થિતિ હમણાં જ કાબુમાં આવી છે. સામાન્ય પ્રજા હાલ જ આ બંધનોમાંથી મુક્ત થઈ છે. તેથી આ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખુબ મુશ્કેલ ભર્યો છે. શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળાં ઉભા રહીને બેફામ પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે તેમજ તેમની હેરાનગતી વધી રહેલ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માટે મારી ભલામણ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મુકવા માટે જાણીતા છે. વરાછા વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મ્યુનિસિપલ કમિશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહેતા હોય છે. પ્રજાને પડતી અગવડને લઈને તેઓ પરોક્ષ રીતે સરકારના જ નિયમો અને કામગીરી ઉપર પ્રશ્નો ઉભો કરી દેતા હોય છે. ટ્રાફિક પોલીસ હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે. વરાછા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાને બદલે વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોવાની પણ ખૂબ ફરિયાદ સામે આવી રહી છે. કુમાર કાનાણીને લખેલા પત્ર બાદ હવે ગૃહ પ્રધાન અને તેમના જ સાથી ધારાસભ્ય હર્ષ સંઘવી ષું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ બની રહેશે.