- બ્રિટનમાં બોરિસ જોનસન સરકારનો મોટો નિર્ણય
- સોમવારથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જરૂર નથી
- જાણકારો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી
નવી દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણથી સંપૂર્ણ રીતે હજુ પણ એક પણ દેશ મુક્ત થયો નથી ત્યારે બ્રિટનમાં બોરિસ જોનસનની સરકારે સોમવારથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ તમામ પ્રતિબંધ 19 જુલાઈના રોજ દૂર થઈ જશે.
બ્રિટનના મીડિયા રિપોર્ટ પ્રમાણે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું હવે જરૂરી નથી. બોરિસ જોનસને જણાવ્યું કે કોરોનાની રસીથી કોરોનાના ગંભીર લક્ષણો ઉત્પન્ન થતા નથી અને લોકોએ સાવધાની રાખવા અને વ્યક્તિગત જવાબદારીઓ સાથે કામ કરવાનો આગ્રહ કરતા જણાવ્યું કે વૈશ્વિક મહામારી હજુ સુધી ગઈ નથી. સોમવારે 19 જુલાઈથી આપણે તાત્કાલિક સામાન્ય જનજીવનમાં ફરી ન આવી શકીએ.
બોરિસ જોન્સનની સરકારે આ નિર્ણય જાહેર કરતા નિષ્ણાંતોએ ચેતવણી આપતા કહ્યું કે, જ્યારે વાયરસ ફેલાતો હોય તો આ પ્રતિબંધને દૂર કરવાથી કોરોના ફેલાવવાનું જોખમ વધી શકે છે. અત્યારે ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ફેલાઈ રહ્યો છે. બ્રિટનમાં કોરોનાના દૈનિક 30 હજારથી વધુ કેસ સામે આવે છે.
કોરોનાવાયરસના કેસને માત્ર વેક્સિનેશનથી રોકી શકાય તેવુ નથી, જાણકારો કહે છે કે વેક્સિન લીધા પછી પણ તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક તો પહેરવું જ જોઈએ. કોરોનાવાયરસના બદલાતા વેરિયન્ટ વિશ્વના તમામ દેશો માટે એક પડકાર બની ગયો છે. કોરોનાવાયરસની લડાઈ જ્યાં સુધી પબ્લિકની લડાઈ નહી બને ત્યાં સુધી કોરોનાનો રોકવો મુશ્કેલ છે.