Site icon Revoi.in

વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 9 ટકાનો ઘટાડો થશે: ADB

Social Share

કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતત્રને મોટો ફટકો પડ્યો છે, લોકડાઉનને કારણે અનેક આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ જતા દેશના વિકાસદરને પણ બ્રેક લાગી હતી, આ બાદ અનેક રેટિંગ એજન્સીઓએ દેશના વિકાસદરનું અનુમાન ઘટાડ્યું હતું. હવે એશિયાઇ વિકાસ બેંક (ADB) એ ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 9 ટકા ઘટાડો આવવાનું અનુમાન લગાવ્યું છે.

એડેબી તરફથી જારી એશિયાઇ વિકાસ પરિદ્રશ્ય (ADO)-2020 અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને કારણે આર્થિક પ્રવૃત્તિ ખરાબ રીતે અસર પામી છે. તેની અસર ગ્રાહક ધારણા પર પણ પડી છે. જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં સકળ ઘરેલુ ઉત્પાદન (GDP) 9 ટકા ગબડશે.

જો કે એડીબીએ આગામી નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ઉછાળો આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. એડીબીએ જણાવ્યું હતું કે, આવ-જા તેમજ કારોબારી પ્રવૃત્તિઓ ખુલવાથી આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્વિદર 8 ટકા રહેશે. એડીબીના મુખ્ય અર્થશાસ્ત્રી યાસુયુકી સવાદાએ કહ્યું કે, ભારતે સંક્રમણ રોકવા માટે કડક લોકડાઉન લગાવ્યું જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી નાણાકીય વર્ષ અને તેનાથી આગળ અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે મહામારી પર અંકુશના ઉપાય, નિગરાની અને ઉપાયની ક્ષમતાનું વિસ્તરણ મહત્વપૂર્ણ છે. આ પગલા અસરકાર રીતે અમલમાં મુકવા જરૂરી છે, તેથી જ અર્થતંત્ર આગળ જતા બહાર આવી શકશે.

(સંકેત)