- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
- વિકાસ કાર્યો માટે સરકારને પૈસાની આવશ્યકતા હોવાથી ભાવ નહીં ઘટતા
- હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવી સંભાવના ઓછી છે
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબ્યા છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ નથી ઘટાડતી તે અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નિવેદન આપ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૈસાથી આવશ્યકતા હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો અત્યારે થઇ શકે એમ નથી.
દેશના સાત રાજ્યોમાં અત્યારે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. કેટલાક રાજ્યોમાં ડીઝલનો ભાવ પણ 100 રૂપિયા પ્રતિ લીટર થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાને કારણે હલ્લાબોલ મચ્યો છે.
રાહુલ ગાંધીએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇને ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા જેના બદલામાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી ગરીબો પર ઇંધણના ભાવવધારાના બોજને કારણે ચિંતિત હોય તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઇંધણ પરના ટેક્સમાં ઘટાડો કરવાનું મુખ્યમંત્રીઓને કહેવું જોઇએ.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને કર્ણાટક સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઓછો કરશે તેવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ મૌન જ રહ્યાં હતા.
નોંધનીય છે કે, છેલ્લા ઘણ સમયથી કોરોના મહામારી વચ્ચે એક તરફ જ્યારે અર્થતંત્રને વિપરિત અસર થઇ છે જ્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તૂટી ચૂકી છે. પ્રજા સતત મોંઘવારીનો માર સહન કરી રહી છે.