- મહારાજાની ઘરવાપસી
- આજથી ફરી એકવાર તાતા ગ્રૂપ એર ઇન્ડિયાની કમાન સંભાળશે
- કંપની ઓનટાઇમ પર્ફોમન્સને પ્રાધાન્ય આપશે
નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની આજે ઘરવાપસી થઇ છે. 69 વર્ષ બાદ આજે તાતા ગ્રૂપ તેની કમાન ફરીથી સંભાળશે. આ માટે લગભગ તમામ કાયદાકીય કાર્યવાહીઓ સમાપ્ત થઇ ગઇ છે. મહારાજાની ચમકને પાછી લાવવા માટે તાતા ગ્રૂપ હવે ઓનટાઇમ પર્ફોમન્સને પ્રાધાન્ય આપશે.
આજે તાતા ગ્રૂપ સત્તાવાર રીતે એર ઇન્ડિયાની કમાન સંભાળશે. તેમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ તાતા સન્સના ચેરમેન અને ચંદ્રશેખરન ઉપસ્થિત રહી શકે છે. એર ઇન્ડિયાની સ્થાપના તાતા ગ્રૂપે કરી હતી પરંતુ 69 વર્ષ પહેલા તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી કંપની સતત ખોટ ખાઇ રહી હતી અને સરકારે પણ તેના ઉગારવા માટે તેને અનેકવાર વેચવાનો પ્રયાસ કર્યો હતો. અંતે તાતા સન્સે તેના માટે સફળ બોલી લગાવી હતી.
હવે જ્યારે તાતા ગ્રૂપ તેની કમાન સંભાળવા જઇ રહી છે ત્યારે કંપની ઓનટાઇમ પર્ફોમન્સને પણ પ્રાધાન્ય આપશે. એટલે કે વિમાનના દરવાજા ફ્લાઇટ ટાઇમથી 10 મિનિટ પહેલા બંધ થઇ જશે. કંપનીએ કંપની ક્રૂ મેમ્બર્સને એક ઇમેઇલ મોકલ્યો છે જેમાં લખ્યું છે કે, આજ રાતથી આપણે પબ્લિક સેક્ટરથી પ્રાઇવેટ સેક્ટરમાં જઇ રહ્યાં છે. આપણા માટે આગામી સાત દિવસ મહત્વના છે કારણ કે આપણે પોતાની ઇમેજ, વલણ અને વિચારધારાને બદલીશુ. તાતા ગ્રૂપના સંદીપ વર્મા તેમજ મેઘા સિઘાનિયા ફ્લાઇટ સર્વિસનું સંચાલન સંભાળશે.
નોંધનીય છે કે, ફ્લાઈટમાં થતી જાહેરાતમાં પ્રવાસીઓને મહેમાન કહીને સંબોધવામાં આવશે. આટલુ જ નહીં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનો એક રેકોર્ડેડ મેસેજ પણ સંભળાવી શકાય છે. એર ઈન્ડિયાના ચાર બોઈંગ 747 જમ્બો વિમાન પણ ટાટાને ટ્રાન્સફર કરવામાં આવશે.