Site icon Revoi.in

15 ઑગસ્ટ, 2047 સુધીમાં ભારતને વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં મોખરે મૂકશેઃ અમિત શાહ

Social Share

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘મેરી માટી-મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ કંઈક અંશે એક સાંજ જેવો છે, કારણ કે તે એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેમણે કહ્યું કે આગામી અમૃતકાલ અને “સંકલ્પ સે સિદ્ધિ” 15 ઑગસ્ટ, 2047 સુધીમાં ભારતને વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં મોખરે મૂકશે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીએ જે ભારતની કલ્પના કરી હતી, તેનું નિર્માણ આગામી 25 વર્ષમાં થશે.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 75 વર્ષમાં ભારતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ તે પર્યાપ્ત નથી. લાંબા સમય સુધી ગુલામીમાં રહ્યા પછી અને લાખો-કરોડો લોકોનાં બલિદાન પછી આપણને આઝાદી મળી છે અને છેલ્લાં 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દરેક ભારતીયને એકત્ર થવાની અને વધારે મહાન ભારતનાં નિર્માણમાં મદદ કરવાની તક આપવામાં આવી છે. મેરી માટી-મેરા દેશ કાર્યક્રમ પોતાનાં નામ દ્વારા જ પોતાનો અર્થ વ્યક્ત કરે છે.

તેમણે કહ્યું હતું કે, અત્યારે આપણે સ્વતંત્ર ભારતમાં જીવી રહ્યાં છીએ અને આ માટે લાખો લોકોએ બલિદાન આપ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 1857થી 1947 સુધી 90 વર્ષ સુધી આઝાદી માટે લાંબી લડત લડવામાં આવી હતી અને અસંખ્ય જાણ્યા અને અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ ઉદ્દેશ માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી જેવા હૃદયમાં દેશભક્તિથી ભરપૂર વ્યક્તિ જ હાથમાં ‘મિટ્ટી ” સાથે સંકલ્પ લઈને અને જેમણે બલિદાન આપ્યું છે તેમને શ્રદ્ધાંજલિ આપીને’ સંકલ્પ સે સિદ્ધિ”ની આ યાત્રાની શરૂઆત કરવાની કલ્પના કરી શક્યા હોત. આ કાર્યક્રમ પાછળનો વિચાર એ છે કે દરેક વ્યક્તિ, પરિવાર, નાગરિક અને બાળકે મહાન ભારતનાં નિર્માણના વિચાર સાથે ભાવનાત્મક રીતે જોડાવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, 1-30 સપ્ટેમ્બર દરમિયાન દરેક ઘર, વોર્ડ અને ગામ એક ઘડામાં ‘મિટ્ટી’ અથવા અનાજ એકઠું કરશે, ત્યારબાદ 1-13 ઑક્ટોબર સુધી બ્લોકમાં અને પછી 22-27 ઑક્ટોબર સુધી રાજ્ય સ્તરે અને આખરે 28-30 ઑક્ટોબર સુધી આ 7,500 કળશ દેશની રાજધાની નવી દિલ્હી પહોંચશે. નરેન્દ્ર મોદી આ અમૃત કળશની માટી આપણા મહાન વીરોનાં સન્માનમાં દિલ્હીમાં નિર્મિત અમૃત વાટિકામાં મૂકશે, જે દરેક નાગરિકને યાદ અપાવતું રહેશે કે અમૃતકાલના સમયગાળા દરમિયાન આપણે ભારતને મહાન બનાવવું જ જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આ પહેલમાં કેટલાંક કાર્યક્રમોને સંકલિત કર્યા છે અને દરેક ભારતીયને આ પહેલનો ભાગ બનવાની તક પૂરી પાડી છે. તેમણે કહ્યું હતું કે, પોતાની જાતને દેશને પુનઃ સમર્પિત કરવાના હેતુથી 5 કાર્યક્રમો દ્વારા નવી શ્રેણી બનાવવામાં આવી છે. આ કાર્યક્રમો હેઠળ દેશનાં દરેક ગામમાં શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે, દેશના કરોડો નાગરિકોએ ‘પંચ પ્રણ”નો સંકલ્પ લીધો છે, જે ભારતને મહાન બનાવવાનો માર્ગ મોકળો કરશે, અમૃત મહોત્સવની ઉજવણીમાં વસુધાવંદન કાર્યક્રમ હેઠળ 75 વૃક્ષો રોપવામાં આવ્યાં છે અને વીરોનું સન્માન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે,નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન 2 લાખથી વધુ કાર્યક્રમોનાં આયોજનથી સમગ્ર દેશમાં ફરી એક વખત દેશભક્તિની ભાવના જાગૃત થઈ છે અને મેરી માટી-મેરા દેશ કાર્યક્રમ સાથે આ કાર્યક્રમોનું સમાપન થશે. તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તમામ દેશવાસીઓને ‘પંચ પ્રણ’ લેવા- વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતા દૂર કરવા, આપણી પરંપરાઓ પર ગર્વ કરવા, એકતા અને અખંડિતતા માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરવા તથા દરેક નાગરિકનાં મનમાં કર્તવ્યની ભાવના જગાવવાનું આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આ ‘પંચ પ્રણ’ એક મહાન ભારતનાં નિર્માણના રાજમાર્ગો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા અભિયાન’નું આહ્વાન કર્યાં પછી દેશભરમાં 23 કરોડ મકાનો, કાર્યાલયો અને ઇમારતોને તિરંગાથી સુશોભિત કરવામાં આવ્યાં હતાં. પીએમનાં આહ્વાનનું સન્માન કરીને આખો દેશ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો હતો અને આ દેશભક્તિની ભાવનાનું પરિણામ એ આવ્યું હતું કે, તાજેતરમાં જ આપણું ચંદ્રયાન ચંદ્ર પર શિવશક્તિ પોઇન્ટ પર પહોંચ્યું છે, જે તમામ દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે, દરેક ઘરમાં તિરંગા અભિયાનથી દેશના દરેક વ્યક્તિનાં મનમાં ગૌરવની ભાવના જાગી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને દેશનાં ભવિષ્ય સાથે જોડવી, તેની લાગણીઓને દેશની પ્રગતિ સાથે જોડવી અને દરેક વ્યક્તિના પ્રયાસોને દેશની પ્રગતિ અને વિકાસ સાથે જોડવું એ નેતૃત્વ અને તેની જવાબદારીની કસોટી છે. તેમણે કહ્યું હતું કે, આખો દેશ ભાગ્યશાળી છે કે લાંબા સમય બાદ આપણને પીએમ નરેન્દ્ર મોદી જેવા એવા નેતા મળ્યા છે, જે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન દેશને વિશ્વમાં પ્રથમ બનાવવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આપણી અર્થવ્યવસ્થા દુનિયામાં 11મા સ્થાનેથી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જ આપણે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનીશું. તેમણે કહ્યું હતું કે, ભારતના દરેક નાગરિકનાં મનમાં જે આત્મવિશ્વાસ જાગ્યો છે, તે આ પ્રકારનાં કાર્યક્રમો મારફતે થયો છે. આ પ્રકારના કાર્યક્રમો મારફતે દરેક ભારતીય નાગરિકનાં મનમાં આત્મવિશ્વાસ પેદા થયો છે, જે આપણા સાહસિક સૈનિકોને સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે પ્રેરણારૂપ છે, આપણા વૈજ્ઞાનિકોને કોવિડ-19 રસી વિકસાવવા સક્ષમ બનાવે છે તથા ઇસરોના વૈજ્ઞાનિકોને ચંદ્ર અને સૂર્યની ભ્રમણકક્ષા સુધી પહોંચવા માટે હિંમત પૂરી પાડે છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, મેરી માટી – મેરા દેશ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશનાં ભવિષ્ય સાથે પોતાને જોડવાનું માધ્યમ છે. આ કાર્યક્રમ પોતાની જાતને દેશને મહાન બનાવવાની પ્રક્રિયાનો હિસ્સો બનાવવાનું માધ્યમ બની શકે તેમ છે અને 25 વર્ષ પછી જ્યારે વર્તમાન પેઢી મહાન ભારતનું નેતૃત્વ કરશે, ત્યારે તેમને મનમાં સંતોષ થશે કે અગાઉની પેઢીએ ખૂબ જ મજબૂત ભારતનું નિર્માણ કરવામાં મદદ કરી હતી.