Site icon Revoi.in

રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજાશે

Social Share

ગાંધીનગરઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જે અંતર્ગત રાજયના આઠ મ્યુનિ.કોર્પોરેશનમાં તા.26મી મેનો રાજ તેમજ  25 જિલ્લાઓમાં તા. 30મી મે એ જિલ્લા કક્ષાના અને 249 તાલુકાઓમાં તારીખ 1લી જૂનથી 6ઠ્ઠી જૂન દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે 10થી 12 કલાક દરમિયાન યોજાશે. કાર્યક્રમોના સ્થળની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે માટે આ કાર્યક્રમોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં 8 મહાનગરો તથા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ માત્ર ધોરણ 10 અને 12 નહીં પણ ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીને લગતા સવાલો માટે સેમિનાર યોજવામાં આવશે. આ પ્રકારનો સેમિનાર ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, કૃષિ વિભાગ, રોજગાર વિભાગ જેવા વિભાગો સાથે સંકલન સાધીને આ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.