- સમાજ નિંદાની દરકાર વીના પુત્ર અને સંન્યાસી બંને જવાબદારી નિભાવવાની શક્તિનું ઉદાહરણ એટલે શંકરાચાર્ય
ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ ખાતે આદિગુરુ શંકરાચાર્યજીના 1238મા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સના સંસ્કૃત વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીની ઋષ્મિતા પરમાર દ્વારા નિર્વાણ ષટકમ ગાન દ્વારા કરવામાં આવ્યું ત્યાર બાદ ભો. જે. વિદ્યાલયના કાર્યકારી નિયામક અને કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. પ્રીતિબેન પંચોલી, કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે અને સંસ્કૃત વિભાગના અધ્યાપકો દ્વારા પ્રકૃતિ પૂજન અને આદિગુરુ શંકરાચાર્યજીના તૈલ ચિત્રને પુષ્પ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવવામાં આવ્યો સાથે આજના દિવસની અગત્યતા સમજાવતા જણાવ્યું કે આજે જગતગુરુ શંકરાચાર્યજી જન્મને 1238 વર્ષ અને સમાનતા, સામાજીક સમરસતાના પરમ ઉપાસક સંતશ્રી રામાનુજાચાર્ય જન્મને 1009 વર્ષ થવા એ ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ ગર્વની બાબત છે.
ગુજરાત રાજ્ય દ્વારા સંસ્કૃત ગૌરવ પુરસ્કારથી સમ્માનિત મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં ખૂબ જ ભાવનાત્મક રીતે શંકરાચાર્ય જીવન કવન વર્ણવી શ્રોતાઓને ભાવુક બનાવી દીધા હતા. સમાજની આલોચનાની દરકાર કર્યા વિના સંન્યાસી શંકર અને પુત્ર શંકર બંને કર્તવ્ય કેવી કઠીન પરિસ્થિતિમાં નિભાવ્યા તે રજૂઆત હૃદય સ્પર્શી હતી.
કાર્યક્રમનું સંચાલન ડૉ. ઠાકોરભાઈ નાયક અને આભારવિધિની જવાબદારી ડૉ. અલ્પાબેન પટેલ દ્વારા સાંભળવામાં આવી હતી.

