ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા
- ગુજરાત ATSની મોટી કાર્યવાહી: દેશ વિરુદ્ધ ષડયંત્ર રચતા બે યુવકોની ધરપકડ, ISISની વિચારધારાથી હતા પ્રભાવિત
ગાંધીનગર, 21 એપ્રિલ, 2026 – ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ મોટી કાર્યવાહી કરતા દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલા કરવા, હથિયાર અને ફંડ એકઠું કરવા તથા દેશ વિરુદ્ધ જંગ છેડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
‘ગઝવા-એ-હિન્દ’ અને ISISની વિચારધારા
ડેપ્યુટી SP વીરજીત સિંહ પરમારની આગેવાનીમાં થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે, બંને યુવકો છેલ્લા 7 મહિનાથી WhatsApp અને Instagram પર સક્રિય હતા. તેઓ 12-13 સભ્યોના એક અત્યંત નજીકના ગ્રુપનો ભાગ હતા, જે ભારતમાં ‘ગઝવા-એ-હિન્દ’ ની સ્થાપના પર ચર્ચા કરતું હતું. આ યુવકો ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ISIS જેવા ઉગ્રવાદી અને કટ્ટરપંથી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત હતા.
પોલીસ તપાસ અનુસાર, આ બંને યુવકોને કોઈ હેન્ડલર દ્વારા ઓપરેટ કરવામાં આવતા નહોતા, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેઓ સંપૂર્ણપણે ‘સેલ્ફ-રેડિકલાઈઝ્ડ’ (પોતે જ કટ્ટરપંથી) થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ ગુંડાગીરી અને મારામારીના કેસમાં યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ
કોણ છે ધરપકડ કરાયેલા આતંકી?
ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે આરોપીઓની ઓળખ ઈરફાન ખાન પઠાન અને મુર્શિદ ઝાહિદ અખ્તર શેખ તરીકે થઈ છે. ઈરફાન 22 વર્ષનો છે, જે પાટણના સિદ્ધપુરનો રહેવાસી છે. તેણે મહેસાણાથી MSc કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો.
બીજો આરોપી- મુર્શિદ ઝાહિદ અખ્તર શેખ, 21 વર્ષનો છે, જે મૂળ બિહારનો રહેવાસી છે. તેણે આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. મુર્શિદ મુંબઈમાં તેના ભાઈ સાથે બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો.
આ પણ વાંચોઃ TCS નાસિક વિવાદ: પીડિતાએ વર્ણવી આપવીતી; હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી અને છેડતીનો ઘટસ્ફોટ
સિદ્ધપુર-મુંબઈથી ઝડપાયા
એક ચોક્કસ બાતમીના આધારે, ગુજરાત ATS ની ટીમે સ્થાનિક પોલીસની મદદથી સિદ્ધપુરથી ઈરફાન ખાન પઠાન અને મુંબઈથી મુર્શિદની ધરપકડ કરી હતી. બંને યુવકોનો કોઈ અગાઉનો ગુનાહિત ઈતિહાસ નથી. હાલમાં, બંને આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 148 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


