Site icon Revoi.in

ચેટીચંડનો તહેવાર સિંધી સમુદાયના સંઘર્ષ અને જીંદાદીલીની ઊજવણી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં  સિંધી સમાજના ચેટીચંડની  ઊજવણીમાં ઉત્સાહ-ઉમંગથી સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટીચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટીચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવાનું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે. તેમણે કહ્યું કે, ભગવાન ઝુલેલાલ આશા, હિંમત અને કરુણાના સમુદ્ર સમાન હતા. એટલું જ નહીં મુશ્કેલ સમયે, અડગ રહી જીવવાનું તેમણે શીખવ્યું છે.  આમ, ભગવાન ઝુલેલાલમાંથી પ્રેરણા લઇને તેમણે  સૌને કુટુંબ, સમાજ અને દેશનું ઋણ ચુકવવા તત્પર બનવા અનુરોધ કર્યો હતો.આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદના મેયર  કિરીટ પરમાર, સર્વે ધારાસભ્યો, કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.