અમદાવાદઃ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે અશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચુંટાયાં હતા. કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બસપાના સહયોગથી બિનહરિફ જાહેર થયાં હતા. છોટાઉદેપુરમાં કોંગ્રેસ અને બસપાએ ગઠબંધન કરીને પાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી દિવસોમાં હવે બોર્ડની રચના કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાતાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બહુજન સમાજ પાર્ટીના સહયોગથી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. અગાઉના પ્રમુખ નરેન જયસ્વાલ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તેઓને પ્રમુખ પદેથી દૂર કરાયા હતા. બાદમાં આજે પ્રમુખની ચૂંટણી યોજાતાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
છોટાઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસના 8, બસપા 9, ભાજપ 4, બીટીપી 2 અને અપક્ષ 5, સભ્યો ચૂંટાયેલા છે. કોઈ પાર્ટી પાસે બોર્ડ બનાવવા સ્પષ્ટ બહુમતી નથી જેથી બીજાં પક્ષો સાથે ગઠબંધન કરી ને બોર્ડ બનાવવામાં આવે છે. થોડા દિવસ પહેલાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં કોંગ્રેસ, બીજેપી, અપક્ષ સહિત બસપાના સભ્યો સામેલ હતા. જો કે બીજેપીને સત્તાથી દૂર રાખવા બસપા અને કોંગ્રેસે હાથ મિલાવતા કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ એક માત્ર પ્રમુખ તરીકેની ઉમેદવારી નોંધાવતાં તેઓ બિનહરિફ ચૂંટાયા છે.