Site icon Revoi.in

નર્મદાના નાગરિકોને કેન્સરની સારવાર માટે અન્ય જિલ્લામાં જવુ નહીં, કન્સર OPDનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી. મોદી કેન્સર સેન્ટરના સહયોગથી “કેન્સર OPD” શરૂ કરવામાં આવી છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે આ ઓપીડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરના નિદાન માટે અન્ય શહેરોમાં જવાની હવે જરૂર નહીં પડે. કારણ  રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હવેથી આ કેન્સર OPD અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઓપીડીમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ હોસ્પિટલ-અંકલેશ્વરના નિષ્ણાંત તબીબો સેવા પુરી પાડશે. આ ઓપીડી દરમિયાન કેન્સરનું નિદાન થાય તો સારવારની જરૂરિયાત વાળા દર્દીઓને વિનામૂલ્યે અંકલેશ્વર સુધી લઈ જવાની સુવિધા કરવા સાથે તેમની સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે તેવી ખાતરી  હોસ્પિટલના તબીબો દ્વારા આપવામાં આવી હતી.  

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર ઓપીડી શરૂ થઈ રહી છે, જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. લોકોમાં જનજાગૃતિ કેળવાય તો જે કેન્સર પ્રત્યેની ગેરમાન્યતાઓ રહેલી છે તે દૂર થાય. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના તબીબો દ્વારા આ ખૂબ જ સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે. અહીં વિશેષ તજજ્ઞ તબીબોની ટીમ સેવા આપવા માટે તૈયાર થઈ રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

ધારાસભ્યએ ઉમેર્યું કે, નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, ત્યારે અહીંના લોકોને આરોગ્યની કોઈપણ સેવા માટે બહાર જવું નહીં પડે. અહીં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડની સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેની સાથે સાથે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પણ રેડક્રોસ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આરોગ્યને લગતી તમામ સેવાઓ, બ્લડ બેન્ક પણ રાજપીપળામાં ઉપલબ્ધ છે. આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવા સૌથી મહત્વની બાબત ડોક્ટર્સની ટીમ હોય છે. જે વિશિષ્ટ ડોક્ટરની ટીમ અહીં ઉપલબ્ધ થવા જઈ રહી છે. નર્મદા જિલ્લાના પ્રજાજનોને વડોદરા-અમદાવાદ સુધી જવું નહીં પડે અને કેન્સરના જે કોઈ દર્દીઓ હશે તેમને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડ દ્વારા સારવારનો લાભ મળી શકશે. કાર્ડ દ્વારા સારવાર વિનામૂલ્યે થઈ શકશે તેમ જણાવ્યું હતું.