Site icon Revoi.in

નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવશેઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણની 93 સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલા દરેક મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માનું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે.  પ્રત્યેક વ્યક્તિને 10 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે, ઘર વપરાશની વીજળીમાં 300 યુનિટ માફ, રૂ. 500 માં ઘરેલું ગેસ સિલિન્ડર, યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ.3000 નું બેરોજગારી ભથ્થું, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે, દીકરીઓને KGથી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ.4 લાખની સહાય, શહેરી વિસ્તારોમાં 100 દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા, ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે, કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના પ્રથમ ચરણના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરું પાડ્યું છે. આ સાથે તા.5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણના દરેક સુજ્ઞ મતદારોને કોંગ્રેસની તરફેણમાં મત આપી લોકશાહીના પર્વને કર્તવ્યનિષ્ઠાથી નિભાવવા ફરીથી નમ્ર અપીલ કરૂ છું.