Site icon Revoi.in

CM ભૂપેન્દ્ર પટેલ ભોળા છે,પણ તેમને કોઈ છેતરી નહીં શકેઃ પાટિલ

Social Share

બોટાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાજપના અગ્રણીઓ દ્વારા  વખાણ કરવામાં આવી રહ્યા છે.  તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. ત્યારે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર કાર્યક્રમમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના વખાણ કર્યાં હતા.  આજે બોટાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મંચ પરથી સીઆર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CM ને છેતરી નહીં શકે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. જેમાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. પાટીલે કહ્યું હતું કે,  ભાજપના કાર્યકરો 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. સાથે કહ્યું ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. અક્ષરધામ વિશે સીઆર પાટીલે મોટી વાત કરતા કહ્યું કે, ‘હવે મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ તેના પર શંકા થાય છે. તાજમહેલ કરતા દિલ્હીના આક્ષરધામના દર્શન કરો. જેમને તાજમહેલ પસંદ પડ્યો તેમની નજરમાં ખામી. પણ મારી નજર સારી છે, મારી નજરે તાજમહેલ કરતા અક્ષરધામ સારો છે. અક્ષરધામમાં તાજમહેલથી વધુ ધન્યતા મળે છે. આ મંદિરના નિર્માણથી પ્રેરણા મળવાની છે. દેશની દુનિયામાં છવાયેલી છબીમાં વધારો થશે.