Site icon Revoi.in

રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહ અગે CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા, 69 ડેમ 100 ટકા ભરાયાં

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જળસંપત્તિ વિભાગે જળાશયોની તા. 10ઓગસ્ટ-2022 સુધીની સ્થિતિનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કર્યુ હતું.

રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-207 જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા 25,266  MCM છે તેની સામે અત્યાર સુધીમાં 17,395  MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે 69 ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. પાણીનો આ આવરો પાછલા 13 વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.10મી ઓગસ્ટ કરતાં 21 ટકા વધારે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળાશયોની સ્થિતિની સમીક્ષા દરમિયાન એવા દિશાનિર્દેશ આપ્યા હતા કે જે વિસ્તારોમાં વરસાદ વધુ પડે છે અને પાણી વહી જાય છે ત્યાં નાના ચેકડેમ બાંધી આવું પાણી રોકીને જળસંગ્રહ-જળસંચય કરી શકાય. તેમણે એવી પણ સૂચના આપી હતી કે હાલ જ્યાં વરસાદ પડેલો છે ત્યાં સિંચાઇ થઇ શકે તે માટે જરૂરિયાત મુજબ સિંચાઇ યોજનાના કામો પણ સત્વરે હાથ ધરાવા જરૂરી છે.

આ સમીક્ષા બેઠકમાં રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. અને રિપોર્ટ અપાયો હતો. જેમાં જણાવાયું હતું કે, કચ્છ પ્રદેશમાં 20 મધ્યમ અને 170 નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ 70 ટકા પાણી છે.  સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં તા.10મી ઓગસ્ટ-2022 ની સ્થિતીએ 63 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74 ટકા, મધ્યમ ગુજરાતના 17 જળાશયોમાં 44 ટકા તેમજ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31 ટકા પાણી છે. મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવેલા વિવરણમાં સિંચાઇ-જળસંપત્તિ વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે 206 જળાશયો છે તેમાંથી 100 ટકા ભરાઇ ગયા હોય તેવા 69 ડેમો,  80 થી 90 ટકા ભરાઇ ગયા હોય તેવા 12 ડેમો,  70 થી 80 ટકા સુધીના 10 તેમજ 50 થી 70 ટકા સુધીના 35 અને 50 ટકા સુધીના 41 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યના જે 73 જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 જળાશયોમાં આગામી ઓગસ્ટ-2023 સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા આ બેઠક દરમિયાન હાથ ધરી હતી. વરસાદની સ્થિતિની સમીક્ષા સંદર્ભમાં જણાવાયું કે રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ તા.10 ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં 125 મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, મુખ્ય સચિવ  પંકજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ  કમલ દયાની, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, સરદાર સરોવર નિગમના એમ.ડી  જે.પી. ગુપ્તા તેમજ જળસંપત્તિ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિક સચિવો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.