Site icon Revoi.in

દેશમાં કોરોનાએ ફરી ચિંતા વધારીઃ નવા 761 પોઝિટિવ કેસ નોંધાયાં અને 12 દર્દીના મોત થયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ડરાવી રહ્યાં છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોનાના આંકડા મુજબ, 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 761 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4334 છે. કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ 5 લોકોના મોત થયા હતું, જ્યારે કર્ણાટકમાં 4 સંક્રમિત લોકોના મોત થયા હતા. આવી જ રીતે મહારાષ્ટ્રમાં 2 અને યુપીમાં 1 વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાથી સૌથી ખતરનાક સ્થિતિ હાલ કર્ણાટકમાં છે, આ રાજ્યમાં કોરોનાના 298 નવા કેસ મળી આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના મોત થયાનું જાણવા મળે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુરુવારે રાજ્યમાં કોરોના પોઝિટિવનો દર પણ 3.46 ટકાથી વધીને 3.82 ટકા થયો હતો. કર્ણાટકમાં 298 નવા કેસમાંથી 172 એકલા બેંગલુરુના છે. હવે અહીં કુલ 704 એક્ટિવ કેસ છે. કર્ણાટકના હાસન જિલ્લામાં 19, મૈસુરમાં 18 અને દક્ષિણ કન્નડમાં 11 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત ચામરાજનગરમાંથી 8 કેસ નોંધાયા છે, જ્યારે બલ્લારી અને કોપલામાં 6-3 નવા કેસ મળી આવ્યા છે. તુમકુરુ, વિજયનગર અને ચિક્કામગાલુરુમાં 5-5 સક્રિય કેસ મળી આવ્યા હતા.

કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં પણ કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા પ્રકાર JN.1 ના 78 કેસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં અહીં 110 દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 171 નવા કેસ નોંધાયા છે. કોવિડ કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે અને JN.1 પેટા પ્રકારની શોધને કારણે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા સૂચના આપી છે. તેમજ કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સમયાંતરે નવી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ તમામ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.