નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ક્લાસ ટ્રેનને લીલી ઝંડી આપશે, જે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ જાહેરાત કરી હતી. આ લોન્ચ આગામી 15-20 દિવસમાં, સંભવતઃ 18 કે 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે. નવી ટ્રેનનું પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસમાં ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.
આ ટ્રેનના ભાડા પણ નક્કી કરવામાં આવ્યા છે. ત્રીજા એસીનું ભાડું ભોજન સહિત લગભગ 2,300 હશે. બીજા એસીનું ભાડું લગભગ 3,000 અને પહેલા એસીનું ભાડું લગભગ 3,600 રહેવાની ધારણા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “ભાડું હવાઈ ભાડા કરતા ઘણું ઓછું રાખવામાં આવ્યું છે. ગુવાહાટીથી હાવડા સુધીનું હવાઈ ભાડું 6,000 થી રૂ. 8,000 ની વચ્ચે છે. વંદે ભારતમાં ભાડું ભોજન સહિત થર્ડ એસી માટે આશરે 2,300, સેકન્ડ એસી માટે 3,000 અને ફર્સ્ટ એસી માટે 3,600 હશે. આ ભાડા સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે.
વિશેષતાઓ શું છે?
વૈષ્ણવે નવી ટ્રેનની વિશેષતાઓ પણ સમજાવી. તેમણે કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન અદ્યતન સલામતી પ્રણાલીઓથી સજ્જ છે અને તેમાં સસ્પેન્શનમાં સુધારો થયો છે. તે ઊર્જા-કાર્યક્ષમ છે અને વધુ એરોડાયનેમિક ડિઝાઇન ધરાવે છે. આરામદાયક અને વિશ્વસનીય લાંબા અંતરની મુસાફરી સુનિશ્ચિત કરવા માટે મુસાફરોની સુવિધાઓ પણ અપગ્રેડ કરવામાં આવી છે.
મંત્રીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે “આ એક મોટી સિદ્ધિ છે. વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ, સલામતી અને આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, ખાસ કરીને લાંબી રાત્રિ મુસાફરી માટે.” વૈષ્ણવે એમ પણ જણાવ્યું હતું કે ટ્રેનોમાં પ્રાદેશિક આતિથ્ય જાળવવામાં આવશે. ગુવાહાટીથી ઉપડતી ટ્રેનોમાં આસામી ભોજન પીરસવામાં આવશે, જ્યારે કોલકાતાથી ઉપડતી ટ્રેનોમાં બંગાળી ભોજનનો સમાવેશ થશે. આનાથી પ્રવાસીઓને પ્રવાસની સાથે સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ પણ થશે.
વધુ વાંચો: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટરને મારમારતા તબીબોની હડતાળ

