Site icon Revoi.in

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા નવા બ્રિજમાં તિરાડો પડતા વિપક્ષે ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો

Social Share

સુરતઃ ગુજરાતમાં નવા જ બનાવેલા પુલો જર્જરિત બની જતા સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. તાજેતરમાં તાપી જિલ્લામાં તો લોકાર્પણ પહેલાં જ એક પુલ ધરાશાયી થયો હતો. અમદાવાદમાં પણ નવો બનાવેલો બ્રિજ ચાર વર્ષમાં જ બિસ્માર બની જતાં કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સુરતમાં નવા જ બનાવેલા બ્રિજમાં મોટી તિરાડો પડી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરાયેલો ભ્રષ્ટાચાર હવે છાપરે ચડીને પોકારી રહ્યો છે. લોકોના કરોડો રૂપિયાનો ટેક્સ જાણે વેડફાતો હોય, નેતા અને અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને પોતાનાં ગજવાં ભરતાં હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તાજેતરમાં જ ખૂબ મોટા ઉપાડે શહેરના વેડ-વરિયાવ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે નેતાઓ દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ એની પોલ ખુલ્લી પડી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે. રૂપિયા 118 કરોડ જેટલી રકમ ખર્ચીને લોકો માટે સુવિધાના નામે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એની એક મહિના બાદ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. આ બ્રિજના એક તરફના છેડાના ભાગનો આખો રેમ્પ બેસી ગયો છે. બ્રિજની હાલની સ્થિતિ જોતાં એવું લાગે છે કે વર્ષો પહેલાં આ બ્રિજનું નિર્માણ થયું હશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર એક મહિના જેટલો ઓછો સમય થયો હોવા છતાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજની દયનીય સ્થિતિ દેખાઈ રહી છે.

મ્યુનિ.ના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વેડ-વરિયાવ બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજની મુલાકાત લેતાં તેમણે કહ્યું હતું કે ભાજપના શાસકો માત્ર ભ્રષ્ટાચારમાં જ લિપ્ત છે. પ્રજા કરોડો રૂપિયાનો ટેક્સ આપીને બદલામાં માત્ર ભ્રષ્ટાચાર જ પ્રાપ્ત કરી રહી છે. એક મહિના જેટલો ઓછો સમય થયો હોય અને 118 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચવામાં આવી હોય તોપણ આવી સ્થિતિ જોવા મળે એ ખરેખર દુઃખદ બાબત છે. બ્રિજના એક તરફનો છેડો બેસી ગયો છે. એક મહિનામાં આ પ્રકારની સ્થિતિ થવી એ ગંભીર બાબત છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટના નામે 1 ટકા ફી આપવામાં આવે છે. ઇન્સ્પેક્શન માટે 1 ટકા  ફી આપીને કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા બ્રિજનો એપ્રોચ બેસી જતાં અધિકારીઓ દોડતા થયા હતા. આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ બ્રિજ ઉપર પહોંચી ગયા હતા અને સોશિયલ મીડિયામાં સતત વીડિયોનો મારો ચલાવ્યો હતો અને લોકો સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ થતાંની સાથે જ અધિકારીઓની ટીમે ધીરે ધીરે પહોંચીને ઇન્સ્પેક્શન શરૂ કર્યું હતું.