Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લામાં મંજુરી વિના બોર – કૂવા બનાવાશે તો ફોજદારી કાર્યવાહી કરાશે,

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં બોર-કૂવા બનાવવા માટે સરકારની મંજુરી લેવી જરૂરી છે. અને તેના માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. દેશમાં ખૂલ્લા બોરમાં બાળકો પડી જવાના બનાવો વધા રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતાં અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ માર્ગદર્શિકા આપી છે. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પરવાનગી વિના બોર કૂવો બનાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદેસર બોર કૂવાઓ શોધી કાઢવા માટે તંત્ર ધ્વારા આકસ્મિક ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈ કસૂરવાર જણાઈ આવશે તો જે તે વ્યક્તિ સામે કાયદેસરના પગલા લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ધ્રાંગધ્રાનાં ગાજણવાવ ગામે 12 વર્ષની બાળકી ઊંઘમાં ચાલતાં ચાલતાં બોરવેલમાં પડી ગઈ હતી. જેને આર્મી અને આરોગ્યની ટીમે ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવી હતી. ખૂલ્લા બોરમાં પડી જવાની ઘટના વધી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ ગાંધીનગર જિલ્લામાં આવા બનાવો બનતાં અટકાવવા માટે બોર બનાવનારા ખેતર માલિકો, ખાનગી કે સરકારી એજન્સીઓ, બોરવેલ-ટયુબ વેલનું કામ કરનારા રીંગ માલિકો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા વીજળી કંપનીના અધિકારીઓએ પરવાનગી વિના બોર બનાવવાની કામગીરી નહીં કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ભૂગર્ભ જળ મેળવવા માટે ઘણાં ખેડૂતો દ્વારા કરાયેલા બોર નકામા બન્યા પછી તેની કાળજી લેવાતી નથી અને ખૂલ્લા પણ મૂકી દેવાય છે. પરંતુ હવે ડ્રિલીંગની કામગીરીના સ્થળની આસપાસ 3 મીટર વિસ્તારમાં વાયર તારની ફેન્સીગ કરવાની રહેશે. તેમજ કામ પૂર્ણ થયા પછી માટી અને બનાવેલી ચેનલોનું ફરજિયાત પુરાણ કરવાનું રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,અગાઉના ટયુબ વેલ બોરવેલ નિષ્ફ્ળ ગયા હોય અને હાલ ખૂલ્લા હોય તેનું પુરાણ 8 દિવસમાં કરવામાં નહીં તો કોઇપણ અકસ્માતની જવાબદારી જગ્યાના માલીકની રહેશે. ડ્રિલીંગ રીંગ ધરાવનાર વ્યકિત, સંસ્થા, એજન્સી, ખાનગી કે સરકારી હોય તેણે આ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું છે. ડ્રિલીંગ રીંગની નોંધણી કરાવી હશે તેઓ જ ગાંધીનગર જિલ્લામાં કામગીરી કરી શકશે. એજન્સીએ પોતાના સાઇન ર્બોડ અકસ્માત ઝોનનું નોટીસ ર્બોડ ડ્રિલીંગ કામગીરીના સ્થળ પર મુકવાનું રહેશે. નોંધણી માટે ડ્રિલીંગ વ્હીકલની આરસી બુકની નકલ કલેકટર કચેરીએ આપવાની રહેશે. જે ખેતરમાં નિષ્ફ્ળ ગયેલા બોર ખુલ્લા હોય અને તેમાં નાના બાળકો પડી જાય તેવા હોય તે અંગેની જાણ તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક કરવા પણ ખેડૂતોને આદેશ અપાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં નવા ટયુબ વેલ બોરવેલ માટે ખાનગી કે સરકારી એજન્સીએ 15 દિવસ અગાઉ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાપાલિકા કે, મામલતદાર, ગાંધીનગરને આગોતરી જાણ કરીને પાકી પહોંચ મેળવવાની રહેશે. જે તે ડ્રિલીંગ રીંગની નોંધણી કલેકટર કચેરીમાં થયેલી હોય તેની પાસે જ આ કામગીરી કરાવી શકાશે. ગાંધીનગરમાં ડ્રિલીંગ રીંગની નોંધણી ડીઝાસ્ટર શાખામાં કરવાની રહેશે. બિલ્ડરોએ પણ પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર બોર વેલ બનાવતા અગાઉ પરવાનગી મેળવવાની રહેશે.