નવી દિલ્હી, 5 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં સતત વધી રહેલા રાજકીય તણાવની સીધી અસર હવે વૈશ્વિક તેલ બજાર પર જોવા મળી રહી છે. ગુરુવારે કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ઈરાન દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ બંધ કરી દેવાતા તેલના સપ્લાય પર ગંભીર અસર પડી છે, જેના કારણે કિંમતોમાં આ તેજી જોવા મળી રહી છે. ગુરુવારે સવારના કારોબાર દરમિયાન ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો એપ્રિલ કોન્ટ્રેક્ટ 2.43 ટકા વધીને 83.26 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, ન્યૂયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટનો એપ્રિલ કોન્ટ્રેક્ટ પણ 2.63 ટકાના ઉછાળા સાથે 76.63 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો.
અહેવાલો મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક કન્ટેનર જહાજ પર મિસાઈલ હુમલો થતા જહાજને નુકસાન થયું છે, જેના કારણે આ દરિયાઈ માર્ગે પરિવહન ખોરવાયું છે. કાચા તેલની કિંમતોમાં વધારો ભારત માટે ચિંતાનો વિષય છે. જો ક્રૂડ ઓઈલની કિંમતમાં આખા વર્ષ દરમિયાન પ્રતિ બેરલ 1 ડોલરનો વધારો થાય, તો ભારતનું આયાત બિલ અંદાજે 16,000 કરોડ રૂપિયા વધી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકાથી વધુ તેલ આયાત કરે છે, જેમાંથી લગભગ 50 ટકા તેલ મધ્ય-પૂર્વના દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે આવે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત હાલમાં પ્રમાણમાં સુરક્ષિત સ્થિતિમાં છે. દેશ પાસે હાલમાં અંદાજે 25 દિવસનો કાચા તેલનો ભંડાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત 25 દિવસનો પેટ્રોલિયમ ઉત્પાદનોનો સ્ટોક પણ મોજૂદ છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની વ્યૂહરચના બદલી છે. હવે ભારત માત્ર ખાડી દેશો પર નિર્ભર નથી, પરંતુ આફ્રિકા, રશિયા અને અમેરિકા પાસેથી પણ તેલની આયાત વધારી છે. આ વૈવિધ્યકરણને કારણે હવે હોર્મુઝના માર્ગ પરની નિર્ભરતા ઘટી છે, જે વર્તમાન સંકટ સમયે ભારત માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2024-25 માં ભારતે તેલ આયાત પર 137 અબજ ડોલર ખર્ચ્યા હતા, જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ દસ મહિનામાં જ ભારત 100.4 અબજ ડોલર ખર્ચ કરી ચૂક્યું છે.
આ પણ વાંચોઃ મધ્ય-પૂર્વમાં પરમાણુ યુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયલની ધમકી

