Site icon Revoi.in

ગુજરાતના આણંદ સહિત 10 જિલ્લામાં શરૂ કરાશે સાયબર પોલીસ સ્ટેશન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ ફોનનો વપરાશ વધતા સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો છે. આવા ગુનાઓને શોધી કાઢવા માટે અમદાવાદ સહિતના ચાર શહેરોમાં સાયબર પોલીસ સ્ટેશન કામગીરી કરી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. હવે આણંદ,  સાબરકાંઠા,  મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યાં છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીપ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં “ડીજિટલ ક્રાંતિ” ફેલાઇ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આ બાબતે ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યુ છે. અત્યારે નાગરીકો કોરોના મહામારીના કારણે ઓનલાઇન શોપીંગ, રીચાર્જ, નાણાની ચુકવણી, ઇ-મીટીંગો, વેબીનાર જેવી ડીજિટલ સેવાનો લાભ લઇ રહ્યા છે. જે ટેકનોલોજીનો સદુપયોગ છે. પરંતુ કેટલાક સાયબર ક્રિમિનલ્સ દ્વારા આ જ ટેકનોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપીંડી પણ થઇ રહી છે આથી સાયબર સુરક્ષાને લગતા પડકારો સામે આવી રહ્યા છે. આવા વ્યક્તિઓ સામે કાનુની કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સજાગ છે.

સાયબર ઈન્સીડેન્ટ રીસ્પોન્સ યુનિટ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ યુનિટ સાયબર ફ્રૉડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને, પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. આજ સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 8329 નાગરિકોના રૂા. 18.11 કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.

સાયબર સુરક્ષા લેબ જણાવ્યું હતું કે, કિઓસ્ક(KIOSK) મશીનના માધ્યમથી નાગરિકો જાતે જ પોતાના ડિજિટલ ડિવાઇસ તથા સ્ટોરેજ ડિવાઇસ સ્કેન કરી તેમાં રહેલ વાઇરસ, માલવેર, સ્પાયવેર દૂર કરીને પોતાના ડીવાઇસને સુરક્ષિત કરી શકે છે. આ યુનિટ દ્વારા આજ સુધીમાં 952 જેટલા મોબાઇલ ફૉન, 58 જેટલી પેન ડ્રાઇવ, 2 મેમરી કાર્ડને સ્કેન કરી તેમાંથી 981 જેટલા વાયરસ શોધવામાં આવ્યા છે.