Site icon Revoi.in

કાશીમાં દેવ દિવાળી, ગંગા ઘાટ પર 21 લાખ દીપ પ્રગટાવાશે, 150 વિદેશી ડેલિગેટ્સ હાજરી આપશે

Social Share

વારાસણીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને કાશી ગણાતા વારાણસીમાં આજે ગંગા નદીના ઘાટ પર  21 લાખ દીવા પ્રગટાવીને દેવ દિવાળીની ઊજવણી કરવામાં આવશે. દીપ પ્રકાશના આ નજારાને જોવા માટે 12 લાખથી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી પહોંચી ગયા છે. મુખ્યમંત્રી યોગીની સાથે 70 દેશના ડેલિગેટ્સ અને 150થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ દીપ ઉત્સવમાં ભાગ લેશે.  ગંગા મૈયાના કિનારા પર ભવ્ય શણગાર કરાયો છે.

દેવ દિવાળીના પાવન પર્વ નિમિતે આજે કાશીમાં ભવ્ય આરતી અને લેસર શો થશે. લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ દીપ પ્રકાશના નજારાને માણશે.  લગભગ 31,500 લિટર સરસિયાના તેલની વ્યવસ્થા 100 ઘાટ અને તળાવ પર દીવા પ્રગટાવવા માટે કરવામાં આવી છે. આ પહેલાં યુપીની રામનગરી અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 22.23 લાખ દીવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. VVIP માટે નમો ઘાટ ખુલ્લો રહેશે. અહીં આવતા સામાન્ય પ્રવાસીઓ પર પ્રતિબંધ રહેશે., વડાપ્રધાન મોદીએ પણ રવિવારે મન કી બાતમાં કાશીની દેવ દિવાળીનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું, “મને કાશીની ‘દેવ દિવાળી’ જોવાનું મન થાય છે. પણ આ વખતે હું કાશી જઈ શકતો નથી.

દેવ દિવાળીના કાશીમાં અનોખો માહોલ જોવા મળશે. બાબા વિશ્વનાથને 11 ટન ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવશે. શણગાર માટે બેંગલુરુ, કોલકાતા, ઊટી અને થાઈલેન્ડથી ફૂલો લાવવામાં આવ્યાં છે. 11 ટન ઓર્ચિડ, ફ્લેમિંગો, લીલી ઓફ ધ વેલી, હાઇડ્રેંજા, કાર્નેશન, રોઝ, જીપ્સી, બ્લુ ડાઇ, ક્રિશાન્તિ, ટ્યૂબરોઝ, ગોનફેરેના, મદાર અને કમળ લાવવામાં આવ્યાં છે. ગર્ભગૃહ, શંકરાચાર્ય ચોક અને ગંગા દ્વાર સહિત સમગ્ર કોરિડોરને આ ફૂલોથી શણગારવામાં આવશે. મંદિરના સીઈઓ સુનિલ કુમાર વર્માએ કહ્યું હતું કે, “ગંગા દ્વાર ખાતે 5 મિનિટનો લેસર શો થશે. બાબા વિશ્વનાથ કોરિડોરના નિર્માણની વાર્તા બતાવવામાં આવશે.

દશાશ્વમેધ ઘાટ પર આજે માતા ગંગાની મહા આરતી થશે. જેમાં એકલા દશાશ્વમેધ ઘાટ પર 3 લાખ ભક્તો એકઠા થવાનો અંદાજ છે. તે જ સમયે, હજારો પ્રવાસીઓ ઘાટની સામે બોટ પર ઊભા રહે છે. તેથી દેવ દિવાળીના દર્શનાર્થીઓ માટે અહીં વિશેષ આકર્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 5.15 કલાકે દશાશ્વમેધ ઘાટ પર શરૂ થશે. ત્રિરંગા અને ભગવાન શ્રી રામની થીમ પર ફૂલોની સજાવટ હશે. 21 ભૂદેવ (આર્ચક) અને 51 કન્યાઓ રિદ્ધિ-સિદ્ધિ સાથે માતા ગંગાની મહા આરતી કરશે. રામલલ્લાની થીમ પર 21 હજાર દીવા પણ ઝગમગશે. સુરક્ષા માટે 200થી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે, જેઓ વોકી-ટોકીથી સજ્જ હશે. તેમના પર નજર રાખી શકાય તે માટે 15 સીસીટીવી લગાવવામાં આવ્યા છે.

Exit mobile version