Site icon Revoi.in

કચ્છના ધોળાવીરાનો સ્વદેશ દર્શન 2.0 યોજનામાં સમાવેશ, હવે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે

Social Share

ભૂજઃ કચ્છનો પર્યટનક્ષેત્રે છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. હવે તો ધોળાવીરાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે ધોળાવીરામાં પ્રવાસીઓ માટે  માળખાકીય સુવિધા ઊભી કરવી જરૂરી બની છે તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રવાસન વિભાગની  સ્વદેશ દર્શન 2.0ની મહત્વપૂર્ણ યોજનામાં સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ધોળાવીરાની સાથે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને પણ આ નવી યોજનમાં સ્થાન અપાયું છે. આા સ્થળોના વિકાસ માટે કન્સલ્ટન્ટ નિમવા કેન્દ્રના પ્રવાસન વિભાગે દરખાસ્ત પણ બહાર પાડી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા કેટલાક વર્ષોથી  કચ્છના ધોળાવીરાના વિકાસમાં સરકાર વિશેષ રસ લેતી થઇ છે. ચાર વર્ષ અગાઉ ધોળાવીરાને આઇકોનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા નક્કી કરાયુ હતું. ત્યારબાદ ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળ બનાવવા સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલ્યુ હતું. યુનેસ્કોએ ડોઝિયર મંજૂર કરીને ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરતા કચ્છને અનેક નવી સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી. તેવામાં હવે દુનિયાભરના પર્યટકો ધોળાવીરા તરફ આવી રહ્યા છે. પરંતુ ધોળાવીરા જ્યાં આવેલુ છે તે ખડીરમાં હજુ પણ માળખાકીય સુવિધાની કમી છે. પ્રવાસીઓ માટે પણ યોગ્ય સવલતો નથી. તેવામાં કેન્દ્ર સરકારે ધોળાવીરાને વિકસાવવા પ્રવાસન વિભાગની મહત્વપૂર્ણ સ્કીમ સ્વદેશ દર્શન 2.0માં તેની પસંદી કરી છે. સ્વદેશ દર્શન યોજનામાં કેન્દ્ર સરકાર પસંદ કરેલા સ્થળોના વિકાસ માટે એેજન્સી અથવા રાજ્ય સરકારને સીધી સહાય ચૂકવે છે. જોકે હવે યોજના 2.0માં સરકારે નવીનતા ઉમેરી છે. જેમાં પર્યટક સ્થળોના વિકાસની સાથે તે સ્થળોએ રોજગારીનું સર્જન, સ્થાનિક સમુદાયને પણ રોજગાર તથા અંતિમ બિંદુ સુધી કનેક્ટિવિટી, પર્યટક પરિવહન માટે પર્યાવરણ અનુકૂળ સાધનોની ખરીદી, પાર્કિંગની સુવિધા સહિતના મુદ્દા ઉમેરાયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્વદેશ દર્શન 2.0માં ધોળાવીરાની સાથે ગુજરાતના દ્વારકાનો પણ સમાવેશ કરાયો છે. કુલ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 36 પર્યટક સ્થળો/ યાત્રાધામોને પહેલા તબક્કામાં પસંદ કરાયા છે. જેમાં ગયા, નાલંદા, હમ્પી, મૈસુર, લેહ, કારગીલ, શિલોંગ, પુડુચેરી, અમૃતસર, જોધપુર, નીલગિરી સહિતના મહત્વપૂર્ણ સ્થળોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે ધોળાવીરા વિશ્વ વિરાસત સ્થળ બનવાની સાથે જ કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવણી શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.

કેન્દ્ર સરકારે સ્વદેશ દર્શનની પ્રથમ યોજનામાં ગુજરાતના બૌદ્ધ પરિસરનો સમાવેશ કર્યો હતો. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, કચ્છ (સિયોત), ભાવનગર, રાજકોટ, મહેસાણામાં બૌદ્ધ ગૂફા અને સ્મારકોની મરામત અને નવીનિકરણ કરવામાં આવ્યું હતું. તેના માટે કેન્દ્ર સરકારે 26 કરોડની રકમ પણ ફાળવી હતી.