Site icon Revoi.in

ગુજરાતમાં એક પખવાડિયામાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે તેવો તબીબોનો મત

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. કોરોનાથી રાહત ક્યારે મળશે. તે મોટો સવાલ છે. અને તબીબો પણ જુદા જુદા મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે કેટલાક નિષ્ણાંતોના માનવા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી 10-15 દિવસમાં લગામ લાગે તેવી શક્યતા છે. જો આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ ટળી જશે.

રાજ્યમાં કોરોનાના રોજ 14000 કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ક્યારે ઘટશે તે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ નિષ્ણાત તબીબોના મત મુજબ અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા 1200 બેડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 180 દર્દીઓ ટ્રાયઝમાં આવ્યા હતા. 17 એપ્રિલે 1200 બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં સૌથી વધુ 399 દર્દીઓ આવ્યા હતા, 17 એપ્રિલ બાદ સતત ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સિવાય સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે.

રાજ્યમાં એટલે 26 એપ્રિલે 14,340 કેસો નોંધાયા હતા, જ્યારે 25 એપ્રિલે 14,296 કેસ, 24 એપ્રિલે 14,097 કેસ, 23 એપ્રિલે 13,803 કેસ, 22 એપ્રિલે 13,105 કેસ નોંધાયા હતા. બીજી તરફ દેશભરમાં પણ વધી રહેલા કેસોની ગતિ પણ ધીમી પડી રહી છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,23,144 કેસો નોંધાયા છે, જ્યારે 25 એપ્રિલે 3,53,991 કેસો નોંધાયા હતા, તો 24 એપ્રિલે 3,49,691 કેસ, 23 એપ્રિલે 3,46,786 કેસો, 22 એપ્રિલે 3,32,720 કેસો સામે આવ્યા છે. આ આંકડાઓ પરથી એવું લાગે છે કે,સ્વયંભૂ લોકડાઉન અને લોકોની સમજદારી રંગ લાવી છે તેવુ કહી શકાય. વેપારીઓ, દુકાનદારો તેમજ અન્ય લોકોએ બતાવેલી સમજદારી, માસ્કનો ઉપયોગ વધાર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આગામી 10 દિવસમાં કોરોનાથી રાહત થાય તેવા સંકેત મળી રહ્યાં છે. જોકે, તજજ્ઞોનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા બતાવવામાં આવી રહેલી સમજદારી લોકો જાળવી રાખે તો જ આ જંગ જીતી શકીશું, જેના માટે આગામી 10 દિવસ મહત્વના સાબિત થશે.