Site icon Revoi.in

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દશેરાના પર્વને લીધે ગાંઠિયા-જલેબી બનાવનારા કારીગરોની માગ વધી

Social Share

રાજકોટઃ દશેરાના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. દશેરાના દિવસે ગાંઠિયા, ચોળાફળી અને જલેબી ખાવાનું વિશેષ મહાત્મ્ય છે, દશેરાના દિવસે ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગાંઠિયા, જલેબીની ખરીદી કરવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે. ઉપરાંત ઘણીબધી હાઉસિંગ સોસાયટીઓમાં પણ કંદોઈને બોલાવીને ગાંઠિયા જલેબી બનાવી વેચાણ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે. અટલે ગાંઠિયા જલેબી બનાવનારા કારીગરોની જબરી માગ ઊભી થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દશેરાનો તહેવાર નજીક આવતા ફરસાણના કારીગરોની ખૂબ માગ નીકળી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગાંઠિયા-જલેબી દશેરાના દિવસે ખૂબ જ વેચાય છે એટલે ગાંઠિયા જલેબી બનાવતા કારીગરોના ભાવ બોલાય છે. અલબત્ત મોટાં ફરસાણવાળા પગાર પર કારીગરો રાખી લેતા હોય છે, પણ રોજમદારોના ભાવ આસમાને પહોંચી ગયા છે. દશેરાના દિવસે તો કારીગરોના ભાવ ઉંચકાયા છે. કોરોના કાળ બાદ એટલે કે, બે વર્ષ પછી આ વર્ષે દશેરાનો તહેવાર પણ ધામધૂમથી ઊજવવામાં આવશે. લોકો હવે છૂટથી બહારની ચીજો ખરીદીને ખાતા-પીતા થઇ ગયા છે એટલે મીઠાઇ-ફરસાણની માગ ખૂબ રહેવાની એ નક્કી છે. આ વર્ષે પામતેલ અને બેસન બન્ને સસ્તાં છે તો મજૂરી વધી ગઇ છે એટલે ઉત્પાદકો ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને કંજૂસાઇપૂર્વક આપી રહ્યા છે.

રાજકોટના ફરસાણના વેપારીઓના કહેવા મુજબ આ વખતે  ફરસાણ બનાવતા કારીગરોની ભારેખમ અછત છે. મોટાંભાગના ફરસાણવાળા હવે પગાર ઉપર કારીગરોને રાખી રહ્યા છે. એક કારીગરને રૂા. 20-30 હજારના પગાર પર રાખવામાં આવે છે. જોકે છૂટક કામકાજ રહેતું હોય ત્યાં કિલોદીઠ કારીગરને રાખવામાં આવે છે. એક કિલો ફરસાણ બનાવવાનો ભાવ રૂા. 15થી 30 ચાલે છે. દશેરાએ કારીગર ન મળે તો એક દિવસના ચાર પાંચ હજાર રૂપિયા પણ આપવા પડે છે. કારીગરો હવે પોતે પણ હેલ્પર સિવાય કામ કરવા તૈયાર થતા નથી અને હેલ્પરને પણ આઠથી દસ હજારની રકમ માસિક ધોરણે ચૂકવવી પડે છે.
ફરસાણના વેપારીઓના કહેવા મુજબ  કારીગર થોડો સધ્ધર થાય એટલે રેંકડી કે નાની કેબિનથી પોતાના ધંધાની શરૂઆત કરી દે છે. રાજસ્થાનથી કારીગરો લાવીએ છીએ તો ઘણી વખત ફરસાણની ગુણવત્તા જળવાતી નથી પરિણામે સમસ્યા સર્જાય છે. જોકે ભાવ કેમ ઘટતા નથી એ અંગે તેમણે કહ્યું કે, અત્યારે કારીગરોની મજૂરી વધી ગઇ છે એટલે કાચો માલ સસ્તો હોવા છતાં અમે સસ્તું આપવા સમર્થ રહેતા નથી. છતાં ખૂબ ઊંચા ભાવમાં વેચનારાઓ ધારે તો ભાવ ઘટાડી શકે છે.