Site icon Revoi.in

રાજકોટમાં વેક્સિન વધુ લોકો લે તે માટેના પ્રયાસોઃ આરોગ્ય વિભાગ સોસાયટીઓમાં જઈને વેક્સિન આપશે

Social Share

રાજકોટઃ શહેરમાં સ્લમ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમાં વેક્સિનેશન ઘણું ધીમી ગતિએ થયું છે. કેટલાક લોકો ડરને કારણે વેક્સિન લેતા નથી. કોઈપણ જાતનો ડર રાખ્યા વિના લોકો વેક્સિન લે તે માટે તંત્રએ પ્રયાસો આદર્યા છે. શાકભાજીના ફેરિયાઓને સ્લોટ બુકિંગમાં ખબર પડતી નથી, તેથી એવું આયોજન કરાયું છે કે આવા લોકો વેક્સિનેશન સેન્ટર પર જાય એટલે ત્યાં હાજર સ્ટાફ જ શ્રમિકો કે ફેરિયાના મોબાઈલમાંથી સ્લોટ બુકિંગ અને એપોઈન્ટમેન્ટ લેવડાવી રસી આપી દેશે. જે વિસ્તારો જ્યાં લોકોને સ્લોટ બુક કરવાની ફાવટ કે સુવિધા નથી તેમજ રસીથી દૂર ભાગી રહ્યા છે તેવા વિસ્તારોમાં મનપા સરવે કરશે અને બધાને મનાવશે.

તેમના જ વિસ્તારોમાં આવા 50થી વધુ લોકો માટે આંગણવાડી કે બીજા કોઈ સ્થળે આઉટરીચ સેશન સાઈટ બનાવાશે અને રસી અપાશે. જો કોઇ સોસાયટીમાં રસીને લઈને સમસ્યા હોય અને ત્યાં લોકોને મનાવવામાં આવે અને આરોગ્ય શાખા પાસે રસી લેવા ઈચ્છુકનું લિસ્ટ હોય તો આરોગ્ય કર્મચારીઓ તેમની સોસાયટીમાં જઈને લિસ્ટ મુજબ ખરાઈ કરીને રસી આપશે. જોકે 50થી વધુ રસી લેનારા હોય તો જ ત્યાં સ્ટાફ જશે.

રાજ્ય સરકાર સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકાને વેક્સિનનો જથ્થો મોકલી આપશે. રાજકોટમાં દૈનિક વેક્સિનેશન ઘટીને 10,000 સુધી પહોંચી ગયું છે. રાજકોટ મહાનગરપાલિકા લોકોને રસી આપવા માટે કમર કસી રહી છે પણ ખરેખર એકસાથે વધુ લોકો તૈયાર થાય તો તેટલો સ્ટોક છે કે નહિ એ મામલે ડો. રાઠોડે જણાવ્યું હતું કે શહેરમાં રોજ 20,000 લોકોને રસી અપાય તોપણ 15 દિવસ કરતાં વધુ ચાલે તેટલો જથ્થો પડ્યો છે, રસીની અછત નથી. 18થી 44 વર્ષની કોઇપણ વ્યક્તિ રસી માટે સ્લોટ બુક કરી વેક્સિન લઇ શકશે. જેમનો સમય થઇ ગયો હોય તેમને બીજો ડોઝ પણ આપી દેવાશે. ઉપરાંત સોસાયટીમાં 50થી વધુ લોકો વેક્સિન લેવા માગતા હોય તો આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર જઈને વેક્સિનેશન કરશે.