Site icon Revoi.in

ગુજરાતના મંત્રીઓ અને નેતાઓએ સરકારી મશીનરીઓનો ઉપયોગ ન કરવા ચૂંટણીપંચની તાકીદ

Social Share

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી પંચના અધિકારીઓ નજર રાખી રહ્યા છે. દરમિયાન સરકારના મંત્રીઓ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે કે સરકારી અધિકારીને રાજકીય હેતુ માટે બોલાવી શકે નહીં, તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે. મંત્રીઓ માટેની સૂચનાઓનું ઉલ્લંઘન ફક્ત આદર્શ આચારસંહિતાનું જ નહીં, પરંતુ તેને ચૂંટણી પંચની સત્તાના પણ ગંભીર ઉલ્લંઘન તરીકે જાહેર કરાશે અને તે માટે ગંભીર શિક્ષા કરી શકાશે તેમ પણ આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, કોઈ ખાસ કિસ્સામાં, જેમ કે કુદરતી આપદા કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બને તેવા સંજોગોમાં મુક્તિ આપવામાં આવી છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓના પ્રવાસ સંબંધી ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ચૂંટણીની જાહેરાતથી લઈને તે પૂર્ણ થાય ત્યાં સુધી, આચારસંહિતા દરમિયાન સરકારી અધિકારીને ગેસ્ટ હાઉસ કે, અન્ય કોઈ સ્થળે નહીં બોલાવવા મંત્રીઓને તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, કમિશને મતદાર વિભાગની ચૂંટણીની જાહેરાત કરી હોય તેવા કોઈપણ મતદાર વિભાગમાં સત્તાવાર મુલાકાત લઈ શકશે નહીં. તે સાથે કોઈપણ મંત્રી રાજ્યના ચૂંટણી સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીને સરકારી સત્તાવાર કામગીરીની ચર્ચા માટે મતદાર વિભાગની બહારના અન્ય સ્થળ, ઓફિસ કે ગેસ્ટ હાઉસમાં બોલાવી શકશે નહીં. મંત્રીઓ સરકારી વાહનોનો ઉપયોગ પોતાના મુખ્ય મથકમાં મહત્તમ નિવાસ સ્થાનેથી કચેરી સુધી કે પછી સરકારી કામ માટે જ ઉપયોગમાં લઇ જવા માટે હકદાર રહેશે, પરંતુ ચૂંટણીના કે રાજકીય પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ  ખાસ કિસ્સાઓમાં મંત્રી કે મુખ્યમંત્રી જ્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ન જળવાઈ હોય કે કુદરતી આપત્તિની પરિસ્થિતિ તેમજ અન્ય કોઇ કટોકટીનો સ્થિતિ હોય તો તેની સમીક્ષા કે બચાવ કામગીરી માટે મુલાકાત લઈ શકશે કે અધિકારીને બહારના સ્થળે બોલાવી શકશે. કમિશનની ભૂતકાળની સૂચનામાં ચૂંટણી દરમિયાન પક્ષની ચૂંટણી ઝુંબેશમાં ભાગ લેવાના ગુપ્ત ઈરાદાથી સત્તાવાર મુલાકાતના દેખીતા હેતુ માટે ગેસ્ટ હાઉસ અને અન્ય સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના તંત્રનો દુરુપયોગ કર્યો હોવાનું પણ નોંધાયું છે. પંચે સ્પષ્ટ તાકીદ કરી છે કે, આ સૂચનાના ઉલ્લંઘનની ગંભીર નોંધ લેવાશે.