Site icon Revoi.in

પ્રાંતિજ પંથકના ખેડુતો ફલાવરની ખેતી કરીને પુરતા ભાવ ન મળતા રડી રહ્યા છે

Social Share

હિંમતનગરઃ પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે. તેમાં પણ ફ્લાવરની ખેતી વધુ હોય છે, જે ફુલાવર અમદાવાદ સહિત રાજ્યભરમાં અહીંથી વેચાણ માટે જાય છે. ત્યારે હાલમાં ફ્લાવરનો 40 થી 80 રૂપિયાના વીસ કિલો મળતા ફ્લાવર પકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજ તાલુકો ફ્લાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબરે છે. પ્રાંતિજનુ ફલાવર-કોબીજ ગુજરાતના શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના નાના-મોટા શહેરો તથા મહારાષ્ટ્રના મુંબઇ, પુણા, નાસિક સહિત દિલ્હી, ઉદેપુર સહિત જાય છે.  ઉપરાંત વિદેશોમાં પણ પ્રાંતિજના ફ્લાવરની માંગ છે. ત્યારે  પ્રાંતિજ સહિત તાલુકામાં નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતો દ્વારા અન્ય ખેતી છોડીને ફલાવરની ખેતી તરફ વળતા ફલાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયો છે. તેનો ઉતારો પણ સારો આવે છે. પરંતુ ખેડૂતોને તેમની મહેનત મુજબનો ભાવ મળતો નથી. કારણ એ જ કે ઉતારો વધુ અને બજારમાં વેચાણ માટે એક સાથે વધુ ફ્લાવર આવતા હાલ બજાર ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને હોલસેલમા 20 રૂપિયે કિલોનો ભાવ  મણના 40 થી 80 રૂપિયા એટલે કે બજાર ભાવ કિલોના 2 રૂપિયાથી 4 રૂપિયા જેટલો મળી રહ્યો છે. હાલ તો મોંઘુ બિયારણ દવા, ખાતર , પાણી-ખેડ મહેનત સહિત પાઉચ (ઝભલા) જેવો ખર્ચ પણ માથે પડ્યો છે. પુષ્કળ પ્રમાણમાં પાકને લઈને ફ્લાવર માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે આવે છે, પણ ભાવ ના મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે વધુ પડતા એક સાથે પાકને લઈને ખેતરોમા જ્યાં જુઓ ત્યા ફલાવરનો ભરાવો થયો છે. માર્કેટમાં સફેદ ચાદર જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાંતિજ પંથકના ખેડુતોએ જણાવ્યું હતું કે, પ્રાંતિજમાં સૌથી વધુ વાવેતર ફ્લાવરનું થતું હોય છે. જેને લઈને માર્કેટયાર્ડમાં હાલમાં સૌથી વધુ આવક ફ્લાવરની થઈ રહી છે. જેને લઈને માલનો ભરાવો થતા ભાવ ઓછો છે. ઉપરાંત દિલ્હી અને નાસિકમાં સ્થાનિક કક્ષાએ આવક હોવાને લઈને વેચાણ થતું બંધ થયું છે. તેમજ વાતાવરણની અસરને લઈને ફ્લાવરનું  ઉત્પાદન વધુ થયું છે.  જેથી એક વીઘામાં બિયારણની 12 પડીકી, ખાતરની છ થેલી સાથે મજુરી, વીજબીલ અને પ્લાસ્ટિકના ઝભલામાં પેક કરી વાહનમાં ભરી વેચાણ માટે લઇ જવામાં આવે ત્યારે ખર્ચની સામે ભાવ મળતા નફો તો નથી થતો. પરંતુ નુકશાનમાં વધુ નુકશાન થાય છે.

પ્રાંતિજના અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું  કે, તો ખેડૂતો વેચવા જાય ત્યારે ઘણીવાર તો વાહનમાં લઇ ગયેલ ફ્લાવર વેચાણ ના થાય તો પાછુ લાવવું પડે છે અને ફેંકી પણ દેવું પડે છે. તેની મૂકી રખાતું પણ નથી. ફ્લાવર વાતાવરણની અસરને લઈને સમય કરતા જલ્દી ફૂટી જાય છે અને ઉત્પાદન થયેલું ફ્લાવર ઉતારી લેવું પડે છે. ખેડૂતોને ઉતારો લીધા પછી ના વેચાય તો પણ નુકશાન અને ના ઉતારે તો ખેતરમાં બગડી જાય, જેથી બંને બાજુએ નુકસાન જ છે. કુદરતના આધારે ખેડૂત બંને તરફથી ખેડૂત પીસાય છે.  માર્કેટયાર્ડમાં વધુ આવક થાય છે ત્યારે તેનો ભાવ પણ ઓછો મળે છે. માર્કેટયાર્ડમાં દરરોજ 1000 થી 1200 ક્વિન્ટલ આવક થાય છે અને છેલ્લાં પાચ દિવસથી ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ફ્લાવરના પાકને જો વીમાનું કવચ આપવામાં આવે તો નુકશાનમાં ઘટાડો થઇ શકે છે.